પૃષ્ઠ:Kalapi by Navalram Trivedi.pdf/૪૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૪ ]
કલાપી
 

ઘણો સમય તે રાજકોટમાં રોહાવાળાં રાણી સાથે રહ્યા. કલાપીના પાટવી કુમાર શ્રી. પ્રતાપસિંહજીનો જન્મ આ સમય દરમ્યાન રાજકોટમાં જ ઈ. સ. ૧૮૯૨ માં થયો હતો. ત્યાર પછી થોડા મહિના બાદ કોટડાવાળાં રાણીના કુમાર શ્રી. જોરાવરસિંહજીનો જન્મ સંવત ૧૯૪૮ના અસાડ સુદિ ૧૫ના રોજ થયો હતો.

બે રાણીઓને સમાન દરજ્જે રાખી તેમની સાથે શાન્તિથી જીવન ગાળવાનો કલાપીનો નિશ્ચય એક પ્રકારની હૃદયત્રિપુટી રચવાનો જ પ્રયાસ ગણાય. પણ કલાપીના જીવનમાં આના કરતાં વધારે રોમાંચક હૃદયત્રિપુટીનો પ્રસંગ નિર્માયો હતો.

રમાની સાથે દાસી વર્ગમાં મોંઘી નામની કચ્છની એક ખવાસ કોમની છ સાત વર્ષની બાલિકા આવી હતી. કલાપીનું પ્રથમ દૃષ્ટિએ જ તેના તરફ આકર્ષણ થયું. ‘હદયત્રિપુટી’માં કલાપીએ લખ્યું છે તે કલ્પનાસૃષ્ટિ બાદ કરતાં આ સંબંધમાં ઉપયોગી માહિતી પૂરી પાડે છે. વત્સા મોંઘીમાંથી સ્નેહરાજ્ઞી શોભનાના પરિવર્તનનો ઇતિહાસ ખરેખર રોમાંચક છે, અને કલાપી તરફ ગુજરાતના કવિતાવાંચકોનું જે અસામાન્ય આકર્ષણ છે તેનું એક કારણ આ અદ્‌ભુત કિસ્સો પણ છે.