પૃષ્ઠ:Kalapi by Navalram Trivedi.pdf/૫૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.






પ્રકરણ પાંચમું
હૃદયત્રિપુટી

માની દાસી, કચ્છની ખવાસ કોમની અભણ બાલિકા, મોંઘીમાંથી લાઠીના રાજવી કવિ કલાપીની સ્નેહરાજ્ઞી શોભનાના અજબ પરિવર્તન ના કિસ્સાએ અનેક નાનકડા નવલકથાકારોને કથાવસ્તુ પૂરું પાડ્યું છે. પણ હું અહીં એ રોમાંચક કિસ્સાને હકીકતો અને વિગતોના અંકોડા મેળવીને આધારભૂત તવારીખ તરીકે જ રજૂ કરવા ઇચ્છું છું. આ પ્રણય–ઇતિહાસ જાતે જ, તદ્દન સાદી રીતે કહેવામાં આવે તોપણ અદ્‌ભુત રસ જગાડે તેવો છે. વળી એ વિગતવાર હજુ સુધી એકે વખત કહેવામાં આવેલ નથી. સ્વ. કાન્તે કલાપીના કેટલાક પત્રો છાપ્યા ત્યારે વાંચકોને કલાપીના પ્રણયજીવનની પરીકથાનો પ્રથમ પરિચય થયો. ત્યારપછી વાંચકોના મનમાં આ વિશે જાણવાની ઇચ્છા વધતી ગઈ છે, અને કલાપીના પત્રો પ્રકટ થવાથી તે ઠીક પ્રમાણમાં સંતોષવાનું સાધન તેમના વિચારશીલ વર્ગને સાંપડ્યું પણ છે. કારણ આ પત્રોમાંથી સીધી અને આડકતરી રીતે ઘણું જાણવાનું મળે છે, એટલું જ નહિ, પણ તેમાંથી જે સૂચનો મળે છે તે પરથી અભ્યાસીઓને તેમનાં કાવ્યોમાંથી પણ ઘણો પ્રકાશ તેમના પ્રણયજીવન પર પડતો દેખાય, અને તેથી ઘણું નહિ સમજાતું સમજાય છે.

એટલે અહીં, કલાપીના પત્રો અને કાવ્યોમાંથી, આ જ રીતે આ લેખકે તેમના પ્રેમજીવનનો ઇતિહાસ આલેખવાનો પ્રયાસ કર્યો