પૃષ્ઠ:Kalapi by Navalram Trivedi.pdf/૫૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૪ ]
કલાપી
 


ભૂલ કયમ તુજને પ્રિયે ! કાને લઈ પરાગ ?
આભારી બનશે દગો બુઝાશે ઉર આગ !

પણ રમાના મનનું સમાધાન થયું નહિ. અને કલાપી મહાન ત્યાગ કરવા તૈયાર થયા. શોભનાનું બીજી જગ્યાએ લગ્ન કરી નાંખવામાં આવ્યું. પણ વસ્તુનો ત્યાગ કરવાથી વાસનાનો ત્યાગ થતો નથી. કલાપીનું હૃદય શોભના માટે ઝૂરવા લાગ્યું. સંસાર–ભોગવિલાસ તરફ તેમને કંટાળો આવી ગયો.

કલાપીના સ્વભાવમાં પહેલેથી જ વૈરાગ્ય તરફ વલણ હતું, તેમાં આવી નિરાશા આવવાથી જીવનમાંથી સર્વ રસ ઊડી જાય એ સમજી શકાય તેવું છે. આ સમય દરમ્યાન કલાપીએ પોતાના હૃદયની વ્યથાને કાવ્યધારા માર્ગ આપવાનો પ્રયાસ કર્યો છે. તે જ પ્રમાણે મણિલાલ નભુભાઈ અને મણિશંકર પરના પત્રોમાં પણું પોતાની હૃદયવ્યથા વ્યક્ત કરી છે. મણિલાલને તો તેઓ ગુરુ માનતા હતા, એટલે તેમની પાસેથી સલાહ માગતા અને તેને અનુસરવાનો પ્રયાસ બીજા વિષયોની માફક આ બાબતમાં પણ કરતા.

કલાપીને શોભના માટે ખાસ દુઃખ એ થતું હતું કે પુસ્તકો અને મિત્રોનું જે આશ્વાસન તેમને પોતાને મળતું હતું, તે તેને મળતું ન હતું. વળી રમાના સંબંધમાં તેમને લાગ્યું કે ખરું જોતાં તેમણે રમાને તૃપ્ત કરવા ખાસ પ્રયત્ન કદી કર્યો જ ન હતો. પોતાની તૃપ્તિને જ રમાની તૃપ્તિ તેમણે માની હતી. તો આ બાબતમાં પણ તેમ શા માટે ન કરવું? પણ પહેલાં તો પોતાની તૃપ્તિની સાથે રમાને તૃપ્તિ મળતી હતી એ વાત કલાપી ભૂલી જતા લાગે છે. અસ્તુ. મણિલાલને પત્રમાં લખેલી આ વાતનું સ્પષ્ટીકરણ કવિતામાં કરતાં કલાપીએ લખ્યું છે:

બન્ધાઈ છે શિથિલ સઘળી લગ્નની ગાંઠ આંહી.[૧]

××××