પૃષ્ઠ:Kalapi by Navalram Trivedi.pdf/૬૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
હૃદયત્રિપુટી
[ ૬૩
 

હવે જોવા ચાલ્યું જિગર મુજ સાક્ષાત હરિને,
તહીં તેની કોઈ પ્રતિકૃતિ કશો શો રસ પૂરે !

આ સમય પછી કલાપીએ લખેલાં સર્વ કાવ્યો પ્રિયાપ્રેમ નહિ પણ પ્રભુપ્રેમ વિશે જ છે. પણ તેની સંખ્યા ઘણી થોડી છે, કારણ હૃદય જ્યારે ભરપૂર હોય છે ત્યારે જીભ મૂંગી બને છે.

શોભના સાથેના લગ્ન પછી મહાન ચિંતાનો અંત આવ્યો, પણ નાની નાની વિગતો સંભાળવાની રહી. જગત પરના માનવીની ચિંતાનો અંત તો જીવન હોય ત્યાંસુધી કેવી જ રીતે આવી શકે ? અને તેમાંયે વળી પ્રેમી માનવીની?

[૧]કલાપીએ રાત્રિ શોભનાની સાથે અને દિવસ રમાની સાથે ગાળવા રાખ્યું. રાતે જમવાનું શોભના સાથે કરવાનું કહેતાં રમાએ એવી રીતે જોખમ બે શિર રહે એ સારું માન્યું નહિ. કલાપી શોભનાનાં હાથનું પાન પણ ન ખાય, તો જ રમા કલાપીનું રસોડું રાખે એવી શરત તેમણે મૂકી. પણ કલાપીને તે બની શકે નહિ તેવું લાગ્યું, તેથી પોતાનું રસોડું પણ જુદું રાખ્યું. રમાની જીવાઇનો બંદોબસ્ત કર્યો. નવું લગ્ન કર્યા છતાં કલાપીના ફરજના ભાનમાં જરાએ ફેર પડ્યો ન હતો. સાત દિવસમાંથી બે રમાના, બે કોટડાંવાળાં રાણીના અને ત્રણ શોભનાના એ પ્રમાણે ગોઠવણ કરી.[૨] શોભનાના મનમાં સ્વાભાવિક રીતે જ પોતાના નવા સ્થાનના સંબંધમાં ચિંતા રહ્યા કરતી. તેને કલાપીએ એક જ વાક્યથી અભયદાન આપી દીધું [૩]'તારૂં દાસત્વ આખી ઝિન્દગીનું સ્વીકાર્યા પછી જ મેં જે કાંઈ કર્યું છે તે કર્યું છે, એટલે હવે આવી શંકા રાખવી એ તો વ્યર્થ મારા જેવા બહુ દુઃખમાં રહેલાને દુઃખ આપવા જેવું છે.'


  1. ૧૬ શ્રી. કલાપીની પત્રધારા પૃ. ૬૭
  2. ૧૭ શ્રી. કલાપીની પત્રધારા પૃ. ૭૦
  3. ૧૮ શ્રી. કલાપીની પત્રધારા પૂ. ૭૫−૭૬