પૃષ્ઠ:Kalapino Kekarav.pdf/૧૭૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

શાર્દૂલવિક્રીડિત
'એ પોલાણ ત્યજી જનાર કદિ એ લોકો ન જોઈ શકે;
'દેખે નેત્ર ભલે પરન્તુ ગ્રહણે ના સૂર્ય ઝાંખો પડે.

અનુષ્ટુપ
'તુચ્છ એ કીર્તિને માટે ના ના ખૂન થવા દ‌ઉં,
'સહેશે સુખથી ડાઘો નામ આ મૂળદાસનું.'

વસંતતિલકા
તે બાઈના હૃદયનાં પડ ઉઘડ્યાં સૌ,
આભારની છલકમાં દિલ ભાન ભૂલ્યું;
જોઈ શકી ઝળક સૂર્યની ડાઘ માંહીં,
કૈં પામતાં મહત એ દિલની પ્રસાદી.

અનુષ્ટુપ
થયાં એ બેય જૂદાં ને ઇનસાફે થઈ ગયો,
મહાત્મા જૂઠ બોલ્યો, ને સ્ત્રી સાથે વનમાં રહ્યો.

શાર્દૂલવિક્રીડિત
હાહાકાર થઈ રહ્યો દિવસ તે આખો બધે ગામમાં,
ઘેરેઘેર થતી હતી મશ્કરી ને વાત બાવા તણી;
તેને જે પૂજતાં હતાં જન સહુ ધિક્કાર તે આપતાં,
ભિક્ષા એ નવ માગતાં મળતી ને ભૂખે દિનો કૈં જતા.

અનુષ્ટુપ
ભાઈ ને બ્હેન જેવાં એ બાવો ને બાઈ એક દી,
મઠમાં એ જ બીનાની વાત કૈં કરતાં હતાં,
'કોઈ તે સૂણતું'તું, ને હર્ષાશ્ચર્ય વિષે પડ્યું;
ને એ બોલી ગયું ધીમે, 'સત્યનો બેલી છે પ્રભુ.'

માલિની
ચણભણ પછી ચાલી વાત કૈં ગામ માંહીં,
જનહૃદય પડ્યાં સૌ કાંઈ શંકા મહીં, ને
જનપદ ફરી લાગ્યા આવવા તે જગાએ,
ભજન પણ ગવાતાં રાત્રિએ ત્યાં ફરીને.

અનુષ્ટુપ
અન્ધારે સત્ય ડૂબ્યું તે આવતું તરી આખરે,
પરન્તુ કાંઈ એ તેની ચિન્તા ના મૂળદાસને.

૨૭-૫-૧૮૯૬

સીમા

જોડી જોડી, ત્રિપુટી કહીં ને મંડળી ચારની કૈં,
ને ક્યાંહી તો રસિક દિલના કાફલા સાથ ચાલે;

કલાપીનો કેકારવ/૨૨૩