પૃષ્ઠ:Kalapino Kekarav.pdf/૧૭૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

આહા! કિન્તુ કળ ઊતરી ને આંખ તો ઊધડી એ,
મૃત્યુ થાશે? જીવ ઉગરશે? કોણ જાણી શકે એ?
જીવ્યું, આહા! મધુર ગમતાં ગીત ગાવા ફરીને,
આ વાડીનાં મધુર ફલને ચાખવાને ફરીને.

રે રે! કિન્તુ ફરી કદી હવે પાસ મ્હારી ન આવે,
આવે ત્હોયે ડરી ડરી અને ઇચ્છતું ઊડવાને;
રે રે! શ્રદ્ધા ગત થઇ પછી કોઇ કાળે ન આવે,
લાગ્યા ઘાને વીસરી શકવા કાંઇ સામર્થ્ય ના છે.

૬-૬-'૯૬


રખોપીઆને

ફેંકી દેને તુજ કરથી આ પથ્થરો, ગોફણી આ,
મ્હારે આવી મુજ ચમનમાં જોઈએ ક્રૂરતા ના;
જે પંખીડા મુજ ચમનને લાગતાં ઘા ન છોડે,
તે પંખી છો મુજ ફલફૂલો ચાખતાં પૂર્ણ હર્ષે.

એ સૌ માગે જરૂર ઘટતો પાકમાં કાંઈ હિસ્સો,
થોડું માંગે જીવનઅરથે, સ્વલ્પ દેવું ઘટે તો;
ખાઈ-પીને સુખમય બની પંખિડા ગીત ગાતાં,
ન્હાનું-મ્હોટું સમજી સુખમાં જીવતાં સર્વ ન્હાનાં.

આ મ્હોટું છે ઉપવન અને પંખીડા છે ઘરેણાં
બાંધે માળો તરૂ ઉપર એ છાયમાં કેવી શ્રદ્ધા?
ઘા શા માટે? ગરીબ બહું એ! સ્વલ્પસન્તુષ્ટ ભોળાં!
તે સૌ માટે મુજ ચમનમાં જોઈએ ક્રૂરતા ના.

૬-૬-૧૮૯૬


મને જોઈને ઊડી જતા પક્ષીઓને

રે પંખીડાં ! સુખથી ચણજો, ગીત વા કાંઈ ગાજો,
શાને આવાં મુજથી ડરીને ખેલ છોડી ઉડો છો?
પાસે જેવી ચરતી હી આ ગાય, તેવો જ હું છું
ના, ના, કો દી તમ શરીરને કાંઈ હાનિ કરૂં હું.

કલાપીનો કેકારવ/૨૨૮