પૃષ્ઠ:Kalapino Kekarav.pdf/૨૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

એ જાપથી જ હૃદયે બલ આવતું'તું;
તેના પ્રભાવથી જ માર્ગ નવીન ખૂલ્યા.

પાતાલનાં પડ મહીં પડ ઊખળ્યાં ત્યાં,
છૂપી રહેલ નઝરે પડતી ગુફાઓ;
પ્રત્યેક દ્વાર ઉઘડ્યું કરસ્પર્શ થાતાં,
પ્રત્યેક સ્થાન વળી આદર આપતું'તું.

આવી રીતે જલ મહીં સરકી જતો'તો,
જાણે અનન્ત યુગ એમ જ ઊતરીશ,
ત્યાં એક ભેખડ પરે મુજ પાદ ઠેર્યા,
ત્યાં દ્વાર કોઈ નજરે પડતું હતું ના.

તે મન્ત્ર કિન્તુ જપતાં જ તૂટી પડી તે,
ડોલ્યું અને ખળભળ્યું જલ સિન્ધુનું સૌ;
હા! કોઈ ત્યાં સ્વર ઊઠ્યો મૃદુ ને કરુણ,
ને સિન્ધુના તલ પરે મુજ અંગ ઠેર્યાં.

અહોહો! મેળ મીઠાથી ગાતાં'તાં દિવ્ય મોતિડાં
સુણ્યું મેં કાંઈ આવું, ને હું ત્યાં શાન્ત ઉભો રહ્યો.

'અમે દૈવી મોતી જલધિતલમાં આમ રમતાં,
'અમારાં ગીતોનું શ્રવણ કરનારૂં વિરલ કો;
'તહીં મચ્છો મ્હોટા અગણિત ભલે ઉપર ભમે,
'હજારોમાં કોઈ અમ તરફ આવી નવ શકે.

'અમે દૈવી મોતી ઉદધિઉરનો સાર સઘળો,
'હજારો મોજાંના અમ ઉપર પ્‍હેરા ફરી રહ્યાં;
'અમારા મ્હેલોની છુપવી દીધી ચાવી અમ કને,
'અને લાખો યત્ને નહિ જ દરવાજા ઉઘડતા.

'અમે દૈવી મોતી અમરરસનાં બિન્દુ સઘળાં,
'પરોવાયેલાં ના પણ રુચિર માલા રચી રહ્યાં;
'અમરી માલા તો અસુર જન કો ના ધરી શકે,
'અમોને સ્પર્શે તે જલધિ સઘળાનો નૃપ બને.

કલાપીનો કેકારવ/૨૮૦