પૃષ્ઠ:Kalapino Kekarav.pdf/૨૯૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

માહાત્મ્ય જે નિજ કરે વસતું હતું, ને
જે મેળવી નિપુણતા બહુ વર્ષ વીત્યે;
તેને હતો ઉચિત કાળ નિરૂપવાને,
આ એકથી જ બલને અજમાવવામાં.

જ્યારે, પરન્તુ, હથિયાર ત્યજી ઉભો તે,
ને નોતર્યો ભૂષણ સર્વ ઉતારી લેવા;
તે તો પ્રસંગ તહીંથી જ રહ્યો હતો ના,
વીત્યો હતો સમય ખડ્‍ગ ઉપાડવાનો.

જેમાં હતું હૃદયશૌર્ય ભજાવવાનું,
હૈયે હતું નવીન જ્યાં કંઈ શીખવાનુ;
ભાસ્યાં સહુ ભૂષણ યત્ન વિના મળ્યાં તે,
એ લૂટમાં કશીય લિજ્જત ના રહી'તી.

'કો માનવીજીવન ખાતર પ્રેમ અર્થે
છે યોગ્ય રક્ત મહીં ખડ્‍ગ ઝબોળવાનું -
એવી જ એક દૃઢતા ઉઅપરે ઊભો જે,
તેને જ યોગ્ય સહુ એ હથિયાર ભાસ્યાં.

ભીલો તણો લૂટ મહીં સરદાર થાતાં,
ભાસ્યો થતો અતિથિને પણ લૂટનારો;
જે ઉચ્ચ સ્થાન ઉરથી વિહરી શકાયું,
ત્યાંથી ગમે ન પડવું કદિ કોઇને યે.

વળી જે આંખની મીટે ના ના ભીલ સહી શકે,
હસ્ત એ અંગની સામે શી રીતે ઉપડી શકે?

કાંઇ આર્દ્ર થતો હવે હૃદયથી એ ભીલ નીચે નમે,
લેઇ ભૂષણ,અસ્ત્રશસ્ત્ર સઘળાં દેતો ફરી યોધને;
જેને લેઇ જવા નિમંત્રણ હતું આભૂષણો સર્વ એ,
તે આમન્ત્રણ આપતો હમીરને થાવા અતિથિ ગૃહે.

'નહીં આજે મ્હારૂં પતિત ઘર શું પાવન થશે?
'પ્રવાસી આવાનું પૂજન કરી કાં ભીલ ન શકે?
'અહો શૂરા! આજે ઘટિત નવ આ સ્થાન તજવું,
'અમો આવાને યે ઘટિત નવ ઠેલી વહી જવું.


કલાપીનો કેકારવ/૩૫૨