પૃષ્ઠ:Kalapino Kekarav.pdf/૩૦૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

તંબુ કને તે ઊતરી પડે છે,
તંબુ મહીં તે પગલું ભરે છે;
ગાદી પરે જોઈ હમીરજીને
વખાણ તેનાં લલકારતો તે[૧] -

'જો જાણત તુજ હાથ સાચાં મોતી વાવશે
'વવરાવત દી રાત તો તુંને ! દેપાળદે ![૨]

'ખળખળ મીઠું ખીર ગેમલ આંગળીએ વહ્યું !
'શોષી આપ શરીર ચારણ પોષ્યો ગોહિલે ![૩]

'અંબરનું દઈ દાન જલાંબર સાંગે ધર્યાં !
'જોવા તેને ભાણ ઊભો થંભી આભમાં ![૪]

'સાજી અમિત ઉદાર દેતો દાન દુકાળમાં,
'સાપ સુવર્ણી હાર જેનો કર અડતાં બન્યો ![૫]


  1. રિવાજને અનુસરી ગઢવી મળતી વખતે હમીરજીની નહિ, પણ તેના વડીલોની કીર્તિ નીચે પ્રમાણે ગાય છે.
  2. એવી કથા છે કે દેપાળદે ગોહેલ એક દિવસ પોતાના દેશમાં ફરતાં કોઈ ચારણને એક જ બળદથી વાવણી કરતો જુએ છે. પ્રશ્ન થાય છે. -'એક જ બળદ પર આટલો ઝુલ્મ શા માટે ?' કડક ઉત્તર મળે છે -'બહુ દયાળુ તું હોય તો બીજો બળદ તું જ થઈ જા.' કાંઈ પણ બોલ્યા વિના દેપાળદે પોતાને ખભે ધૂંસરી મૂકે છે અને બળદ સાથે કામ કરવા લાગે છે, બીજો બળદ મગાવી લે છે, તે આવી પહોંચતાં ચારણને આપી ગોહેલ પોતાના નગરમાં જાય છે. કાપણીનો સમય આવે છે ત્યારે જેટલા ચાસ દેપાળદે‌એ વવરાવ્યા હતા તેમાં અનાજ પાકવાને બદલે સાચાં મોતી નીકળી આવે છે. એવું આશ્ચર્ય બનતાં ઉપલા સોરઠાની મતલબનું ચારણ પોતાના રાજા પાસે જઈને કહે છે.
  3. નિર્જન વનમાં કેટલાક દિવસ કોઈ ચારણ સાથે ગાળવાનું બનતાં ગેમલજી ગોહિલે પોતાની આંગળી ધવરાવી ચારણનું પોષણ કર્યું હતું.
  4. જેની યાચના થાય તે આપી દેવાની ટેકવાળા સાંગાજીએ એક દિવસ સ્નાન કરતાં બધાં વસ્ત્ર કોઈને આપી દીધાં. નદીમાં નગ્ન બેસી રહેવું પડ્યું. તેટલામાં કોઈ મહેમાનો આવે છે અને હાથ ઝાલીને બહાર તાણી લે છે. બિલોરી વસ્ત્ર શરીર પર વીંટાયું દિસે છે. બીજું વસ્ત્ર પ્હેરે છે એટલે પેલું જલાંબર જળ થઈ જઈ જળમાં ભળી જાય છે.
  5. દુકાળમાં એક દિવસ ઘરમાં કાંઈ જ ખાવાનું ન હતું ત્યારે સાજીને ત્યાં કેટલાક ચારણો મહેમાન થાય છે. આપઘાત કરવાનો મનમાં સોલો ઊઠે છે. એટલામાં એક સરપ બાજરીની કોઠીમાં જતો દેખાય છે. સાજી તેમાં હાથ નાખે છે તો એક સોનાનો હાર હાથમાં આવે છે.


કલાપીનો કેકારવ/૩૫૭