પૃષ્ઠ:Kalapino Kekarav.pdf/૩૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

હમીરજીને રજપૂત રીતે
સ્વીકારવાનો નિજ ઘેર આજે
બારોટજીનો ઉપયોગ હાવાં
લેતો હતો નાયક ભીલનો આ.

ગઢવીની કથા જૂની પૂરી પૂર્ણ થઈ રહી,
કચેરી ચૂપ છે બેઠી, હુક્કા માત્ર લવે કંઈ.

'હા ! વિશ્વેશ્વરની ખુબી અવનવી છે વિશ્વવ્યાપી સદા !
'સંયોગો તણી છે વિચિત્ર ગતિ કૈં સંસારવ્યાપારમાં !
'સિંધુમાં તરતાં કંઈ લહરીએ ભેગાં થતાં પાટિયાં !
'શી લ્હેરે ફરી કોણ ક્યાં વહી જતાં ? એ કોણ જાણી શક્યાં ?'

ઉદ્‌ગારો નીકળે આવા હર્ષે સ્નિગ્ધ હમીરના,
કચેરી ડૂબતી પાછી હુક્કાના ગડડાટમાં.

એ ભીલ નાયક કૈં ઇશારો
બારોટજીને નયને કરે છે;
મેમાન સૌ રંજન થાય તેવી
કથા રસીલી કરવા કહે છે.

હમીરજી રંજન થાય એટલો
હેતુ હતો નાયકને મને તો;
કિંતુ કંઈ અન્ય જ હેતુ ઊંડો
બારોટજીના મુખમાં હસે છે.

સ્વીકારીને નાયકની જીવાઈ
કૃપાલ છાયા મહીં વાસ કીધો;
આભાર મ્હોટા બહુ એ થએલા
પોતા પરે તે ગઢવી ગણે છે.

આભાર વાળી ઋણ મુક્ત થાવું -
ઇચ્છા હતી એ ગઢવી તણી કૈં;
શોધ્યો હતો કોઈ પ્રકાર તેવો,
તે કાજ આ એક પ્રસંગ ભાસ્યો.

કન્યા રૂપવતી હતી ભીલ તણી તેના ગૃહસ્થાશ્રમે,
તેને બાલપણા મહીં જ ત્યજીને માતા મરેલી હતી;


કલાપીનો કેકારવ/૩૬૭