પૃષ્ઠ:Kalapino Kekarav.pdf/૩૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

'ખામી અર્જુનની રણે પૂરી શકે તે વીર શું કોઈ ના ?
'ચક્રાવે ચડનાર અર્જુન વિના શું અન્ય કો હોય ના ?
'ક્ષત્રિનો કર કોઈ શું નવ શકે આ થાળને ઝીલવા ?
'આ બીડું ધરવા ફરી ધરણીએ આપે ન કાં કો રજા ?'

શબ્દો આ કર્ણ પ્હોંચે છે આવતા અભિમન્યુના,
તપે છે રક્ત એ રાતું જોઈ નિસ્તેજ એ સભા.

ના થાળ ભૂમિ ઉપરે અડ્યો એ
ત્યાં વીર તેને ઝડપી લીએ છે;
બીડું ઉપાડી મુકુટે ધરે ને
ઉપાડતો કંકણ પ્હેરવાને.

ખળખળી અતિ હર્ષે ઊઠતી એ સભા ને
'જય જય અભિમન્યુ' નાદ એવો ઉઠે છે;
નવીન રણ તણો અગ્રણી ત્યાં જ સ્થાપી
'જય જય અભિમન્યુ' ગર્જના થાય પાછી.

'જય જય અભિમન્યુ' એ જ શબ્દો ઉમંગે
હમીરના હૃદયમાંથી ઊઠતા મ્હોં બતાવે;
મધુર ધ્વનિ વદે છે 'રંગ બારોટજી છે'
ગઢવી શિર નમે ને વાત ચાલે અગાડી.

'ધ્વનિ આ હર્ષનો આવો સુભદ્રા શ્રવણે પડે,
ફડકી દોડતી ઊઠી નીચે મ્હેલથી ઊતરે.

ત્યાં વીર પુત્ર જનની નિકટે જઈને
હર્ષે ભર્યું મુખ પદે નમવી ઉભે છે;
બીડું ગ્રહ્યું સહજ વીરની વૃત્તિએ જે
સાક્ષાત તેજ પુલકી વદતી દિસે છે.

'માતા ! પાંડવની સભા મહીં ફર્યું બીડું શું ભૂમિ પડે ?
શું ના ગાંડીવ પૂજ્ય વીણ ધરતી કો બાણ બીજું ધરે ?
ક્ષત્રિ શું નવ ચક્રવ્યૂહ અથવા કો અન્ય યુદ્ધે ચડે ?
પાણી આમ જતું, અરે રુધિર આ શે, માત ! સાંખી શકે ?'

'નહીં, બાપુ ! નહીં બેટા !' અશ્રુધાર ઢળી પડે !
બાલ એ વીરને મ્હોંએ હસ્ત માત તણો ફરે :


કલાપીનો કેકારવ/૩૭૦