પૃષ્ઠ:Kalapino Kekarav.pdf/૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

તે ક્રૂર સૌ જન ગયાં નિજ ઘેર ચાલ્યાં,
આ એક જે મુજ હતી રહી પાસ તે ત્યાં.

હું તો ઊઠ્યો, સળગતું મુજ કાળજું’તું,
ઢૂંઢ્યું, ન ત્હોય નજરે મમ પુષ્પ આવ્યું;
ત્યાં દૂર વૃદ્ધ અવધૂત હતો ગુફામાં,
તેણે સુણી રુદન આવી મને કહ્યું આઃ–

“ત્હારૂં ગયું કમલ મૃત્યુ તણે બિછાને,
“ત્યાં સૌ જશે, જગત તો ભ્રમછાબડું છે;
“આ પ્રેમ શો ! રુદન શું ! દુઃખદાહ શાને?
“તું કોણ? તે સમજ, બાપ! જરા ઉભો રહે!

“ત્હારૂં ચીરે હૃદય વ્યર્થ રડી રડીને,
“ત્હારૂં ગયું ન વળશે કદિ પુષ્પ, ભાઈ!
“સ્પર્ધા કરી જલધિ વ્યોમ ભણી કૂદે છે,
“ને સૂર્ય આ લઈ ગ્રહો ફરતો ફરે છેઃ
  
“આવા અનેક ઉદધિ ઉછળ્યા કરે, ને —
“બ્રહ્માંડમાં રવિ મળી અણુ શા ઉડે કૈં;
“અસ્તિત્વ એ સહુ તણું નહિ હોય કો’ દિ,
'કો’ દિ’ હશે નભ બધું પરિશૂન્ય આ તો!

“ત્હોયે હતાં સહુ જ તત્ત્વ રૂપાન્તરે આ,
“કો’ એ નવું નથી થયું, નવ થાય કાંઈ;
“કો’ દિ’ વળી પ્રલયનો સહુ ભોગ થાશે,
“ત્યારેય બીજ રૂપમાં સહુ આ સમાશે!

“ત્યારેય ન્યૂન રતિભાર નહીં થવાનું,
“ને કાંઈ એ અધિક હાલ નથી થયેલું;
“દોરાય કો’ ગતિ અનન્તથી વિશ્વ આવું,
“ચીલો પડેલ પણ રાહ તણો દીસે ના!

“તે માર્ગનાં પથિક ત્હોય બધાં દિસે છે,
“છે મૃત્યુ, જન્મ, જીવવું ,સહુ ભાસ માત્ર;
“મૃત્યુથી રુદન,જન્મથી હાસ્ય શાને?
“વૈરાગ્યમગ્ન રહી આયુ ન ગાળ શાને?”

કલાપીનો કેકારવ/૮૬