એ વાત ચાલી હજુ જ્યાં રહી છે
હમીરપત્ની રથ તારવે ત્યાં.
ત્યાં પાસ છે કો હરણું ઉભેલું
તેના ભણી એ રથ ચાલતો થયો;
બારોટ ને યોધ તહીં જ ચાલે
નીચે જ જોતું મૃગ ઉભું હજુ !
ચાંચલ્ય તો જાતિ તણો સ્વભાવ -
એ આજ ક્યાં દૂર થયો મૃગેથી ?!
કો વજ શો શાપ શિરે પડ્યો શું -
પાષાણનું શું મૃગ છે બની ગયું !
એ ભીરુતા નેત્ર તણી નમીને
ગળી રહી દારુણ શોક માંહી,
કો હસ્તિની શુંઢ મહીં દબાતાં
જેવો ગળે છે રસ પોયણીથી.
તેની જ પાસે પદમાં પડ્યો છે
તેનો જ સાથી મૃગલો ઘવાઈ;
ચોટી રહ્યો છે હજુ તીર હૈયે
મૃત્યુ તણા મ્હોં મહીં રક્ત વ્હેતું.
માદા ઉભીને વ્રણ નેત્ર ચાટે,
તેને ય એ ઔષધ વ્યર્થ ભાસે;
તો યે અરે સ્નેહ તણો જ ધર્મ
બજાવતી છેવટ હોય ના શું !
'નહીં ! નહીં !' એ રડતાં હતાં દૃગો
દયાભરી દૃષ્ટિ મિલાવી યોધથી,
સામે પ્રવાહે રણમાં જનારૂં
એ દૃષ્ટિથી એ ઉર સ્થંભી ઊભે.
છતાં ય અશ્વો હજુ પાસ આવે,
'એ ઘાતકી શું ફરી તીરવાળો !'
રે ! માનવીને મૃગલી પિછાને,
ન્હાસી જવા શક્તિ ન કિન્તુ હાવાં.
પૃષ્ઠ:Kalapino Kekarav.pdf/૩૪૫
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
કલાપીનો કેકારવ/૩૯૮