પૃષ્ઠ:Kalapino Kekarav.pdf/૩૮૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

અરે ! પ્રીતિ એ તો જગત પરનું જીવન ઠર્યું,
દઈ પ્રીતિ ફેંકી ક્યમ ફરી બને પત્થર થવું ?
દિસે પ્‍હાડોમાં એ પ્રણયમય કોઈ રસિકતા,
નવું જોવા થાવા જગત સઘળું યત્ન કરતું.

નવું જોકે કાંઈ જનહૃદયમાં સૂક્ષ્મ સળગે,
જનોની પ્રીતિમાં કંઈક ચમકે દેવ સરખું;
છતાં કૈં કાલોથી જનઉર રમે સ્થૂલ રમતો,
જનોનાં અંગો ને અવયવ સહુ સ્થૂલમયતા.

રહી દૂરે ચાહી જનઉર ન સંતુષ્ટ બનતાં,
ચહાતાં સ્થૂલો સૌ નિકટ બનવા યત્ન કરતાં;
ઉરો, વૃત્તિ, અંગો, શરીર પરનાં રોમ સઘળાં
ઉઠાડે કમ્પાવી લથબથ થવા પ્રેમચિનગી.

અરે ! જૂનો સાથી નવીન નવ જો કૈં દઈ શકે,
નવું વા કૈં જુદી દઈ લઈ શકે જો નવીનતા;
ન કાં તો તે સાથે હૃદય સ્થૂલનું ઐક્ય કરવું ?
અરે ! પ્યાસા પ્યાસા જલમય છતાં કેમ મરવું !

મથે સ્થૂલો સર્વે પ્રતિ પલ વધુ સૂક્ષ્મ બનવા,
ચડાતાં તૃપ્તિથી અનુભવ લઈને પગથિયાં;
ન આડો બન્ધાવી કુદરતક્રમે કૈં ઉચિત છે,
પ્રભુની લીલા તો સરલ સહુ ખીલા વગરની.

દિવાલો કૂદીને નવીન બનવાનું થઈ જશે,
ધસારા મ્હોટાથી તૂટી પડી દિવાલો પણ જશે;
પ્રવાસીને દેવો અઘટિત વૃથા કાં શ્રમ ભલા ?
પ્રવાસીનો આવો સમય લઈ લેવો ક્યમ ભલા ?

૧૮-૭-૯૭

સ્મૃતિચિત્ર

હસી મ્હારા વ્હાલા ! જીવિત કડવું મિષ્ટ કરજો,
અનાયાસે આવ્યું વગર દુઃખ તે ત્યાગ કરજો;
પ્રકાશી જે આવે દિવસ સુખના આજ સરખા,
બની ઘેલા ગાળો ભરપૂર સુખે શાન્ત વહતા.


કલાપીનો કેકારવ/૪૪૦