પૃષ્ઠ:Kalyanika - Gu - By Ardeshar Khabardar.pdf/૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.


પ્રસ્તાવના

જીવનનો કલ્યાણપંથ પ્રભુધામ આગળ જ પૂરો થાય છે. એ પંથના વટેમાર્ગુને તો એ ધામનો પ્રકાશ સદા પોતા તરફ આકર્ષ્યા કરે છે. સાચા કવિની આંખ એ પ્રકાશબિંદુના વેધમાંથી કદી ચૂકતી નથી, કવિની ભાવોર્મિ, ભાવના, કલ્પના અને બુદ્ધિ જ્યારે એકરસ બને છે, ત્યારે એ પ્રકાશનાં કિરણોને ઝીલીને પોતાની વાણીના લોલકમાં તેના વિવિધ રંગો પ્રકટાવી સૌને એ પ્રકાશનો બોધ તેમજ તેનો આનંદ તે આપી શકે છે. બધી જીવનસરિતા પરમાત્મસાગર ભણી જ વહે છે, અને એ જ તેનો કલ્યાણપંથ છે. આ સંગ્રહમાં કાવ્યોનો કે ભજનગીતોનો પ્રવાહ એજ માર્ગે વહ્યો છે, કુદરતી રીતે જ વહ્યો છે; અને એ ભજનોના કવનકાળમાં કવિહ્રદયે જે જોયું છે, અનુભવ્યું છે, અને તેને વાણીમાં મૂર્ત્તસ્વરૂપ આપ્યું છે, તે એ કલ્યાણપંથના વટેમાર્ગુને કોઈક રૂપે રીતે પણ સહાયક અને આનંદદાયક બનશે, તો તે કવિહ્રદયને સંતોષકારક જ થશે.

મારી “ભજનિકા” પ્રકટ થયાને દસ વર્ષ વીતી ગયાં છે. તેમાંનાં ઘણાં ભજનો મેં અનેક ઠેકાણે ગવાતાં સાંભળ્યાં છે. આ દસ વર્ષમાં મારાં બીજાં નાનાં મોટાં કાવ્યો સાથે જે ભજનો પણ રચાયાં છે, તેનો આ સંગ્રહ “કલ્યાણિકા” નામે પ્રકટ થાય છે . ગુજરાતના અશિક્ષિત, અર્ધશિક્ષિત, સુશિક્ષિત, વિદ્વાન, રસિક અને રસજ્ઞ, એમ તમામ વર્ગને આમાંનાં એક યા વધુ ભજનો કાંઈ ને કાંઈ આનંદ આપી પ્રભુના કલ્યાણપંથની વિશેષ ઝાંખી કરાવશે , એવી શ્રદ્ધા હું રાખું છું.

આ શ્રદ્ધા અકારણ નથી. મારી કવિતાની પ્રાસાદિક સરળતાને લીધે તેમાં જાણે કશું રહસ્ય છે જ નહીં, એમ માની લઈને કેટલાક વિવેચકો થોડીકને ઉત્તમ કહી બીજીને અવગણે છે. પણ મારા અનેક કાવ્યસંગ્રહો પ્રકટ થયા છે, તે પર જે વિવેચનો અનેક વ્યક્તિઓ તરફથી થયાં છે, તેમાંથી એક વિચિત્ર સાર મેં તારવી કાઢ્યો છે, એ બધાં વિવેચનો એકઠાં