પૃષ્ઠ:Kalyanika - Gu - By Ardeshar Khabardar.pdf/૧૫૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૪૮
કલ્યાણિકા
 

કડી ૩ મને પીડા થાય છે તે ખરી રીતે જોતાં પીડા નથી. પણ મારા હૃદયમાં તું પુણ્યની, પવિત્રતાની મેખ મારે છે તેથી મને ખીલા વાગતા હોય એમ લાગે છે. આંખમાં આંસુનાં પૂર ઉભરાય છે તે સાચું જોતાં તારા જ અમૃતની વર્ષા વરસે છે.

કડી ૪ ઘડો પૂરેપૂરો પાણીથી ભરાઈ ગયો હોય તેમાં વધારે પાણી માઈ શકતું નથી તેમ તું મારા અંતરમાં સંપૂર્ણ રીતે વ્યાપ્ત થઈ રહ્યો છે. મારું હૃદય તુંમય થઈ રહ્યું છે, પછી તને મેળવવા માટે બીજી સાધના કરવાની શી જરૂર છે ?

કડી ૬ પ્રેમભાવે કરીને હું તારું સાયુજ્ય-સામીપ્ય-સંયોગ પામ્યો, તારો સાથ મેળવી શક્યો. હવે પછી મારે બીજાં યોગ ઉપાસના વગેરે સાધનોની શી જરૂર છે ? ભમરીના ડંખ ખમીખમીને ભમરીનું ધ્યાન ધરતો ધરતો કીટ આખરે પોતાનો દેહ ભેદીને ભ્રમરરૂપ બની ઊડી જાય છે, તેમ તેં મોકલેલી વેદનાના ડંખ ખમીખમીને તુંમય થઈ ગયો છું. તેં મારો સાથ કદી તજ્યો નથી.

પૃષ્ઠ ૮૨. એક જતારી ઓથ હે પ્રભુ ! એક તું જ મારો આધાર છે, તું જ મારું જીવન છે, તારા સિવાય બીજું બધું ખાલી છે.

કડી ૨ તારા વિના પૃથ્વી, સાગર આદિ તારી રચના નકામી છે. એ તો તારી રચનાની રમત માત્ર છે. ચેતનના આધાર વિના જડ વસ્તુ જેમ કેવળ નિષ્ક્રિય રહે છે, તેમ તારા વગરનું અંતર પણ તદ્દન ખાલી ભાસે છે. મને માત્ર તારો જ આધાર છે.

કડી ૪ સમુદ્રને તરી જવા કોઈ વહાણમાં બેસે અને વહાણ તૂટી જાય, તેમ સંસાર સાગરને તરવા મેં બાહ્ય સાધનો અજમાવ્યાં પણ તે સર્વ નિષ્ફળ નીવડ્યાં. ઈશ્વરના નામનો તરાપો મળે તો જ સંસારસમુદ્ર તરી શકાય. ઈશ્વરભક્તિ વડે જ મોક્ષપદની પ્રાપ્તિ થઈ શકે.

પૃષ્ઠ ૧૦. ઊડવાં આઘાં આઘાં રે અંતિમ પદની પ્રાપ્તિ કરવા માટે આધ્યાત્મિકતાના પ્રદેશમાં ઘણે આઘે પ્રવાસ કરવાનો છે. સંસારના માર્ગોથી બહુ દૂર પ્રભુના પંથે જવાનું છે.

કડી ૫ વિહંગો-પક્ષીઓ આઘે આકાશમાં ઊડે છે ને જેમ જેમ એ દૂર ઊંચે ઊડે છે તેમ તેમ દિગંત ( દિશાનો છેડો ) દૂર હઠતી જાય છે. જેમ જેમ આધ્યાત્મિકતાના પ્રદેશમાં આગળ ને આગળ પ્રવાસ કરતા જઈએ છીએ તેમ તેમ તેની સીમા આઘી ને આઘી જતી જાય છે. સાચા સુખરૂપી પતંગ બહુ ઊંચે ઊડી રહ્યો છે તેનો દોર હાથમાં શી રીતે આવે ?