પૃષ્ઠ:Kalyanika - Gu - By Ardeshar Khabardar.pdf/૧૫૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
ટિપ્પણ
૧૪૯
 

કડી ૮ આશાનું રહેઠાણ બહુ દૂરના પ્રદેશમાં છે-બહુ દૂરની વસ્તુની આશા રાખી છે ને પ્રાણને પણ બહુ દૂરનો પ્રવાસ કરવાનો છે. આત્માને એ આધ્યાત્મિકતાના દૂર પ્રદેશમાં ઉડાવતાં પ્રેમ ને કલ્યાણની પ્રાપ્તિ થશે.

પૃષ્ઠ ૯૦. અનિર્વાચ્ય પરતત્ત્વ કડી ૨ વેદ, પુરાણ, કુરાન, અવસ્તા આદિ જે રીતે ઈશ્વરની ઓળખાણ આપે છે તે રીતે હું એનું સ્વરૂપ લોકોને સમજાવું છું. પણ જેમ અક્ષર ન હોય ને માત્ર કાનો માત્રા લખ્યાથી કોઈ વર્ણ-ઉચ્ચાર કરી શકાય એવો વર્ણ-નીપજતો નથી, તેમ તું કેવળ અગોચર છે તેને વાણી જેવા અપૂર્ણ ને બાહ્ય સાધનો વડે શી રીતે સમજાવી શકું ?

પૃષ્ઠ ૯૩. અગમની ઓળખ ઈશ્વર અગમ્ય છે. એ મનુષ્યની કલ્પના કે બુદ્ધિમાં આવી શકતો નથી. એવા અગમ્ય તત્ત્વની સમજણ, હે સંતો, કોણ આપી શકે ?

કડી ૪ - ૫ તારા, સૂર્ય, ચન્દ્ર, સમુદ્ર, પૃથ્વી આદિ ઈશ્વરની વિભૂતિઓ છે. પણ એ કોઈ ઈશ્વરનું સ્વરૂપ સમજાવતાં નથી. હંમેશાં મૂંગાંજ રહે છે. લાખો નામે લોકો એની પૂજા કરે છે, પણ એ પોતાનું રહસ્ય ખોલતાં નથી. મનુષ્યના અંતરમાં ઈશ્વરનું ચૈતન્ય ઝળકી રહ્યું છે. પણ બહાર તો માટીની કાયા જડ દેહ જ છે. એ અંદરનું ચૈતન્ય જાણકાર જ સમજી શકે છે. પાટી પર અક્ષરો લખાયા હોય તે જેને અક્ષરનું જ્ઞાન હોય તે જ ઓળખી શકે છે, પાટી જાતે એનો ઉચ્ચાર કરતી નથી, તેમ પ્રકૃતિનાં તત્ત્વો ઈશ્વરના સંદેશવાહક છે, પણ એ જાતે એ સંદેશ ઉચ્ચારી બતાવતાં નથી; જેને એ સંદેશ વાંચી શકનાર જ્ઞાનચક્ષુ હોય તે જ એ સમજી ને સમજાવી શકે છે.

પૃષ્ઠ ૯૫. માલિકને દરબાર કડી ૩ - ૪ ઈશ્વરને ઢૂંઢતાં ઢૂંઢતાં, વ્રત, તપ, યાત્રા આદિ કરતાં કરતાં મારી આંખ પણ થાકી ગઈ. એના વિષેની વાતો સાંભળતાં મારા કાન બહેરા થયા. અને એના વિષેના જ્ઞાનનો ભાર એવો જબરદસ્ત થઈ ગયો કે તેના બોજા હેઠલ હું કચડાઈ ગયો છું. હવે મારા પગ ચાલી શકે તેમ નથી. ઈશ્વરને પ્રાપ્ત કરવાનાં બાહ્ય સાધનો ઉલટાં ઉપાધિરૂપ થઈ પડ્યાં. મને દિવ્ય સંદેશ સંભળાય છે કે એ બધા બહારના શણગાર તું ફેંકી દે. એ તો અમથો ભાર છે. સૂર્યની વચ્ચે આવનારાં વાદળ જેવાં એ ઉપાધિરૂપ છે. શુદ્ધ સ્નેહભાવે, નિર્મળ ભક્તિ વડે તું ઈશ્વર પાસે આવ. " એ સંદેશ સાંભળી મેં એ ભાર છોડી દીધા છે. બાહ્ય સાધનો ઉપાધિથી હવે હું મુક્ત બન્યો છું. હવે હે સંત પુરુષો, મને પ્રભુની પાસે લઈ જાઓ.