રાતના એકનો ટકોરો થયો અને કોઈ ડાહ્યા વડીલે ભેગા થયેલા ટોળાને વિખેરી નાખ્યું. સ્નેહીઓનું ટોળું વિખરાતાં પણ કલાક કાઢી નાખે ! મને સહેજ એકાંત મળ્યું અને હું નાસીને મારા શયનગૃહમાં પહોંચી ગયો. મારું હૃદય ધબકી રહ્યું હતું. સસ્મિત નિરુપમા હિંચકે બેઠી હતી હતી. હું વર્ષો પછી નવીન દુનિયામાં આવ્યો હોઉં. નવીન જન્મ પામ્યો હોઉં, એવી લાગણી અનુભવતો અવાફ બેસી રહ્યો. અમે બંને શબ્દવિહીન ક્ષણો વિતાવતાં હતાં અને નિરુપમાનો રૂપેરી કંઠ રણક્યો : 'ફુરસદ મળી?'
'શું કરું ? લોકોને ખ્યાલ પણ આવતો નથી કે એકાંત ઝૂંટવી લેવામાં પાપ છે.' મેં કહ્યું.
'નેતાઓને એકાંત હોઈ શકે નહિ!' નિરુપમાએ કહ્યું.
'હું નેતા છું?'
'સમજાયું નહિ ? તે સિવાય આટલું માન મળે ?'
‘પણ મે કર્યું છે શું ?'
'દેશની આઝાદી માટે જીવનસમર્પણ કર્યું ને ?'
'કોણે કહ્યું?'
'બધાં વર્તમાનપત્રો કહે છે ને ! લોકો પણ કહે છે !'
'એ બધું હું ભૂલી જાઉં અને તું પણ ભૂલી જા. આપણે બન્ને સાદાં માનવી બની રહીએ.'
અને નિરુપમાની આંખ સહેજે ચમકી.
'શું હશે?' મને નિરુપમા સિવાય બીજું કાંઈ જ દેખાતું નહિ. મારી સૃષ્ટિ નિરુપમામય બની ગઈ હતી.
'કાંઈ નહિ.' નિરુપમાએ અચાનક કહ્યું અને એ હસી.
'પણ તું ચમકી કેમ?'
'તમારા જેવા મહાન સૈનિકની પાસે બેસતાં ગમે તેને