પૃષ્ઠ:Kanchan Ane Geru.pdf/૧૦૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ઘુવડ : ૯૭
 

નિવારણ બતાવ્યું.

'મને એવો વહેમ નથી. છતાં આજે તારું જ કહ્યું કરવું છે.' કહી મેં દોરો હાથમાં લીધો અને ઘુવડના બોલે બોલે એક એક ગ્રંથિ દોરા ઉપર વાળવા માંડી. વાતમાં અમે પરોવાયાં, છતાં મારું મન ઘુવડના ઉચ્ચારને ગણતું હતું અને ઉચ્ચારે ઉચ્ચારે એક એક ગ્રંથિ વધતી હતી. પાંચ સુધી ગણતરી થઈ અને ઘુવડનો ઉચ્ચાર લાંબા સમય સુધી સંભળાયો નહિ. દોરો અંતે આઘો મૂક્યો અને નિરુપામાનો હાથ મેં મારા હાથમાં લીધો.

પાછો ઘુવડનો સાદ સંભળાયો. એટલું જ નહિ, દૂરથી બીજી ઘુવડવાણીનો પડઘો પણ પડ્યો — જેનો જવાબ અમારી અગાશીમાંથી પાછો ઘુવડે આપ્યો.

મને ખૂબ રીસ ચઢી. કમબખ્ત ઘુવડ શા માટે અમારા એકાન્ત આનંદની વચ્ચે આવતું હતું ? સમગ્ર જગત શાન્ત બની અમારી ઊર્મિઓના મિલનની અનુકૂળતા કરી આપતું હતું તે વખતે એ શાન્તિને હલાવી નાખવાનો ઘુવડને શો હક્ક હતો?

આવી રીસ પાછળ ન્યાય હતો કે નહિ એ જુદી વાત છે. ઘુવડના બોલથી બીતો હતો કે કેમ એનો નિર્ણય જે થાય તે ખરો. પરંતુ ખરેખર મને એ પક્ષી ઉપર ક્રોધ ચઢ્યો ! કુદરતનાં તત્વો ઉપર આપણું સામ્રાજ્ય નથી જ. પંખીસૃષ્ટએ માનવીની આણ સ્વીકારી ગુલામીખત લખી આપ્યું નથી. છતાં માનવીનો રોષ માનવસૃષ્ટિ આગળ જ અટકતો નથી એ વિચિત્રતા હોવા છતાં સાચું છે !

'લાવ, અગાશીમાં જઈ હું એને ઉડાડી મૂકું.' કહી નિરુપમાનો હાથ મેં મૂકી દીધો. પરંતુ નિરુપમાએ મારો હાથ પકડી લીધો અને મને કહ્યું : ;આજે તો તમે મારું કહ્યું કરવાનું વચન આપ્યું છે, નહિ?'

'જરૂર'