પૃષ્ઠ:Kanchan Ane Geru.pdf/૧૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ઝેરનો કટોરો : ૧૩૧
 


'અરે, એમ પણ સાંભળ્યું કે લજ્જાને કદાચ ઉઠાવી પણ ગયા હોય.'

'તું અહીં કેમ છે?'

'તમારી માતાનું શબ દાટવું રહી ગયું છે. એમણે તો આપઘાત કર્યો, અને.... અને... પૂનમચંદ ! તમે પણ પયગંબર સાહેબનું નામ લઈ ઈસ્લામી બની જાઓ. નહિ તો...!' નમ્ર, વિવેકી, આંખ પણ ઊંચી ન કરનાર ઈબ્રાહીમે એક ચકચકતી કટાર મ્યાનમાંની બહાર કાઢી, અને ઘેલછા ભરી આંખે તેણે પૂનમચંદને આવરી લીધો. માનવ આંખમાં આવી અને આટલી ક્રૂરતા આવી શકતી હશે કે કેમ તેની શંકામાં પડેલા પૂનમચંદે કહ્યું: “વારૂ; હું ઈસ્લામ સ્વીકારી લઉં છું. તું જાણે છે કે હું નાનપણમાં તારી જ પાસેથી ગઝલ – કવાલી શીખ્યો છું. પણ માના શબને જોવાતું નથી. એને જરા ઠેકાણે કરીએ.' પુનમચંદે કહ્યું.

'હા, હા. અહીં વાડામાં જ દાટી એના ઉપર કબર કરી દઈએ.' ઈબ્રાહીમની ધર્મઘેલછા સંતોષાવાનો પ્રસંગ આવતો હોવાથી ઈબ્રાહીમના હૃદયમાં જરા સુંવાળપ આવી. તેણે કટાર મ્યાન કરી, અને પૂનમચંદની માતાના શબને ઉપાડવાની તૈયારી કરી. પૂનમચંદે માતાની છાતીમાંથી રુધિરભીની કટાર કાઢી લીધી, અસાવધ બનેલા ઈબ્રાહીમ ઉપર પસાર કરી તેને જમીન ઉપર પટક્યો, અને તેની છાતી સામે કટાર્ ધરી.

‘સરકાર ! છોડો. હું હિંદુ બનું છું !' મોત નજીક આવતું નિહાળી ઈબ્રાહીમ બોલ્યો.

'અહીંના હિંદુઓ ક્યાં ?' પૂનમચંદે પૂછ્યું.

'બધાની કતલ થઈ. મુસ્લિમ બન્યા એ બચ્યા...!'

'ક્યાં છે એ બધા ?'

'લૂંટ કરી પાકિસ્તાનમાં ચાલ્યા ગયા.'

'તું કેમ અહીં રહ્યો ?'