પૃષ્ઠ:Kanchan Ane Geru.pdf/૧૫૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪૬ : કાંચન અને ગેરુ
 

નહિ હોઉં ! તું ત્યાં ચાલ. જગા નક્કી કરી રાખી છે. તારા પુત્રને જોવા તારાં માબાપ તમે ન બોલાવે તે મને ફટ્ કહેજે. અકસ્માત મેળાપ જેવો બીજો આનંદ નથી. અને...તારા વગર એ કેટલાં ઝૂરે છે એ હું તને શું કહું?'

કુમારની આંખમાં આંસુ આવ્યાં. પિતાને પગે લાગવાની તેની તૈયારી સતત હતી જ; માત્ર તે કુસુમની જોડે જ. એણે પ્રતિજ્ઞા લીધી ન હતી. એટલે તે કુસુમ અને પોતાના પુત્રને સાથે લઈ જવા તૈયાર થયો. મારી સલાહ પણ એણે પૂછી. પિતા, માતા અને પુત્રનું શુભમિલન થતું હોય તો તે થવા દેવાની કોણ અભાગી ના પાડે ? મેં તેના વડીલ સગાંની સલાહને બહુ પુષ્ટિ આપી.

રજા પડી અને કુમાર તથા કુસુમ નદીકિનારે જવા નીકળ્યાં. મેં તેમને વળાવ્યાં. સાથે ખૂબ કાચુંકોરું પણ આપ્યું. માનવીનાં હૃદયો સાંકડાં બની જાય એવી મોંઘવારી પણ ત્યારે ન હતી. નાના બાળકને સાચવવાની શિખામણ આપી અને ગુસ્સાવાળાં માતાપિતા કદી તોછડાં બને, તો ય તે ન ગણકારી માતાપિતા સાથે મેળ કરી લેવાની આગ્રહભરી સલાહ આપી.

'હું તો સાસુસસરાના પગ ઉપરથી માથું ખસેડીશ જ નહિ; પછી?' કુસુમે કહ્યું.

'પણ કુસુમબહેન ! મેળ થાય ત્યારે આ ઘરને ભૂલશો નહિ.' પ્રેમલગ્ન વગર મને પરણેલી મારી પત્નીએ કહ્યું.

કુસુમની આંખ આંસુથી ઊભરાઈ ગઈ. તેણે કહ્યું : 'ખરે વખતે જે ઘરમાં મને આશ્રમ મળે એ ઘર અને એ કુટુંબને જીવતાં સુધી કેમ ભુલાય ?'

'શું શું બન્યું તે મને રોજ લખતો રહેજે, કુમાર !'

'જરૂર, મોટાભાઈ !'

'મોટાભાઈનો ભાગ ન ભુલાય, હો!'.

અને કુમાર, કુસુમ તથા તેમનું બાળક રિસાયલાં માતાપિતાને