મસ્તક તૂટી ગયું. લોહીના રેલા ચાલ્યા અને નિર્જીવ બની એ વૃદ્ધ પણ આરા ઉપર પડી ગયા.
ત્રણ મૃત્યુ મેં થોડી જ ક્ષણમાં નિહાળ્યાં. હું પગથાર ઉપર બેસી ગયો અને આંખે હાથ દઈ દીધો !
આંખ ઉઘાડતાં જ મારી સામે બેત્રણ માનવીઓને ઊભેલાં મેં જોયાં.
'તમે કોણ છો?' પૂછ્યું.
'ગામના ચોકિયાત. મોડું થયું એટલે તમને શોધવા ઘેરથી અમને મોકલ્યા. ચાલો.'
‘ત્યારે કુમાર, કુસુમ, કુમારના પિતા..!'
'અહીં કોઈ જ નથી.'
'લોહી રેલાયું છે ને?'
'અં હં. અહીં લોહીબોહી કાંઈ નથી.'
મેં જોયું, લોહી ન હતું. માત્ર ચંદ્ર ચાંદનીને બદલે રુધિર વરસાવતો લાગ્યો.
'ત્યારે...મેં એ બધું શું જોયું?'
'સાહેબ ! કાંઈ નહિ. સપનાની માયા ! પણ આ પૂનમે એકલા આ બાજુએ આવવા જેવું નથી.'
'કેમ ?'
'કાંઈ નહિ; પણ કદી કદી કોઈને કાંઈ દેખાઈ જાય.'
'શું દેખાય?'
'એ તો અમારા ગામડિયા લોકના વહેમ. તમે ચાલો.'
મેં ઊઠીને તેમની સાથે ચાલવા માંડ્યું. વાતાવરણમાં અમારા સિવાય અને નદીનાં મોજાં સિવાય કાંઈ જ હાલતું લાગ્યું નહિ.
'હા, હા, પેલા તારા હાલતા હતા. શા માટે? એ પણ કોઈ અધ્ધર ફરતાં થરથરતાં પ્રેત તો નહિ હોય?'