પૃષ્ઠ:Kanchan Ane Geru.pdf/૧૯૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
વેરભાવે ઈશ્વર

સુખનંદનની જાહોજલાલીનો પાર ન હતો. વ્યાપારમાં પ્રભુએ તેમને સારી બરકત આપી હતી. મોટાં મોટાં મકાન બાંધવાના કૉન્ટ્રેક્ટમાંથી તેમણે સારી કમાણી અને પ્રતિષ્ઠા મેળવ્યાં. એથી આગળ વધી તેમણે ઈંટનાં કારખાનાં કાઢ્યાં અને તેમાં ઈશ્વરે સારી યારી આપતાં ચીની માટી અને કાચનાં કારખાનાં તેમણે શરૂ કર્યા. જ્યાં જ્યાં તેમનો હાથ અડકતો ત્યાં ત્યાં તેમને સફળતા જ મળતી. વર્ષો સુધી તેઓ બિનહરીફ રહ્યા. પોતાના આખા કુટુંબકબીલાને ન્યાલ કરી નાખ્યો અને પોતાની જ્ઞાતિના કૈંક રઝળતા, રખડતા બેકારોને ધંધે ચડાવી ધનિક બનાવ્યા.

પૈસો થાય એટલે મોટરકાર અને બંગલા પણ ઊભા થાય. કુટુંબ તો તે સાધનનો ઉપભોગ કરે જ; સાથે સાથે સગાંવહાલાંને પણ જરૂર આનંદ થાય. જોકે ઘણું કામ અને ઘણો પૈસો વધતાં અંગત રીતે કૌટુંબિક સંબંધ ઘણો ઘટી જાય. પત્ની સાથે વાતો કરવાની ધનિકોને ફુરસદ ન જ મળે; બાળકને રમાડવાની, બાળક ઉપર દેખરેખ રાખવાની, તેમના અભ્યાસ વિષે કાળજી રાખવાની