પૃષ્ઠ:Kanchan Ane Geru.pdf/૧૯૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
વેરભાવે ઈશ્વર : ૧૮૯
 

કરતા સહુ કોઈ બુદ્ધિવિહીન ગમારો લાગવા માંડ્યા. એ ભાવ જોતજોતામાં તેમની વાણી અને મુખમુદ્રાએ પણ ઝીલી લીધો. શેઠ પાસે જતાં બીક લાગતી અને દલીલ કરવાની તો કોઈ હિંમત જ કરતું નહિ. એક અગર બીજે બહાને દરરોજ શેઠનો મોટો નાનો એકાદ નોકર જાનવરની છાપ મેળવ્યા વગર રહેતો નહિ.

છતાં એકબે મુખ્ય મદદનીશો થોડી ગાળ ખાઈને પણ દિવસભરના વ્યાપારની રૂખ સંબંધી ચર્ચા શેઠ સાથે કરતા હતા. સુખનંદન શેઠના બે મુખ્ય મદદનીશ : એકનું નામ ઈશ્વરદાસ અને બીજાનું નામ દેવદાસ.


એક દિવસ સુખનંદન શેઠે હિસાબ જોતાં જોતાં કહ્યું : 'છેલ્લા બાર મહિનાથી સોએ સો ટકા નફો આવતો લાગે છે.’ શેઠના મુખ ઉપર આનંદ ફેલાઈ રહ્યો હતો. વ્યાપાર એ સામાજિક કાર્ય છે એવી સમજ હજી દુનિયાને આવી નથી. વ્યાપાર તો એક અંગત નફો મેળવવાની ખાણ છે એમ જ વ્યાપારીઓ હજી પણ માને છે.

'હા, શેઠસાહેબ !' ઈશ્વરદાસે જવાબ આપ્યો.

'અલ્યા, ઈશ્વર ! કાંઈ દાન-બાન કરીએ આ વખત.' શેઠસાહેબે કહ્યું. હાથ નીચેના માણસોને બહુવચનમાં સંબોધન કરવાની ટેવ ધનિકો પાડતા નથી.

'હા, શેઠસાહેબ !' ઈશ્વરદાસે કહ્યું.

'શું હા હા કર્યા કરે છે? જાનવર ! કાંઈ રસ્તો શોધી કાઢ્યો કે નહિ ?' રસ્તા શોધવામાં મદદનીશોએ વખતસર પોતાના શ્રેષ્ઠીને મદદ કરવી જ જોઈએ, એટલે શેઠસાહેબે પૂછ્યું.

'આ દેવદાસે અને મેં વિચાર કરી રાખ્યો છે કે...' ઈશ્વરદાસ બોલ્યા

'દેવદાસ ગયો જહાન્નમમાં ! તું તારી વાત કર ને?' ધનિકો