પૃષ્ઠ:Kanchan Ane Geru.pdf/૨૦૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૯૪: કાંચન અને ગેરુ
 

કુંચીઓ બતાવી છે. આપ હુકમ કરો ત્યારે હું હાજર થઈ જઈશ.'

દુનિયા જ્યારથી સુધરેલી થઈ ત્યારથી સહુ કોઈ જાણે છે કે હૃદયભાવ અને વિવેકના શબ્દો વચ્ચે ઉલ્લંઘી ન શકાય એવું અંતર હોઈ શકે છે. સુખનંદનને લાગ્યું કે દેવદાસ તેને ખીજવવા માટે આવ્યો હતો; નહિ કે બેસતા વર્ષે આશીર્વાદ લેવા અને શુભેચ્છા દર્શાવવા. દેવદાસને પણ લાગ્યું કે સુખનંદન તેને કદી હવે પોતાના ધંધામાં બોલાવે નહિ જ ! અને બોલાવે તો દેવદાસ જાય પણ નહિ. દેવદાસને પણ સુખનંદનની સાહેબીનાં સ્વપ્ન આવી ચૂક્યાં હતાં.

દેવદાસની હરીફાઈ ખરેખર સુખનંદનથી સહન થઈ શકી નહિ. પોતાને ત્યાં મેળવેલું વ્યાપારનું જ્ઞાન દેવદાસ સુખનંદનની વિરુદ્ધ જ વાપરતો હતો. સુખનંદનના નફામાંથી જ માત્ર નહિ પણ ધંધામાંથી પણ દેવદાસ ભાગ પડાવી જતો હતો. અને એક વર્ષ તો દેવદાસે એવી સ્થિતિ ઊભી કરી કે સુખનંદનને એક પણ કામ મળ્યું નહિ, જ્યારે દેવદાસ બધાં જ કામ અને એ કામનો નફો ઉઠાવી ગયો.

હવે સુખનંદનને લાગ્યું કે દેવદાસની હરીફાઈ ભયંકર બનતી જાય છે. નફામાંથી પાંચ ટકા આપ્યા હોત તો ? બેઆની ભાગને બદલે ચાર આની ભાગ આપવા પણ શેઠ તૈયાર થયા. ઈશ્વરદાસ મારફત તેમણે સંદેશા પણ મોકલ્યા.

'હવે તો શેઠ અડધો ભાગ અને એમની ફેશનેબલ દીકરી આપે તો હું એમની સાથે જોડાઉં !' દેવદાસે કહાવ્યું. વ્યાપારીઓ વ્યાપારમાં સાંસારિક સંબંધની કિંમત જરૂર આંકે છે. દુશ્મનાવટ દૂર કરવા દુશ્મનના જમાઈ બની જવાની હિમ્મત દિલ્હીપતિ અકબર સાથે જ નષ્ટ થઈ નથી !

અને બીતાં બીતાં ઉચ્ચારાયેલો દેવદાસનો સંદેશ સાંભળી સુખનંદને દેવદાસને ધૂળ ભેગો કરી નાખવા કમર કસી.

પ્રથમ તો તેમણે અમલદારોના કાન ભંભેરી દેવદાસનું કામ