પૃષ્ઠ:Kanchan Ane Geru.pdf/૨૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
વણઉકલી વાત : ૨૧૯
 

પછી પેલા તારા કવિ–શું નામ ? એમને બોલાવવા કાર નથી મોકલવી ?'

' હું તે જ કરું છું ને, ભાઈ! કઈ કાર મોકલીશું ?' રશ્મિએ પૂછ્યું. ઘરમાં ત્રણ કાર હતીઃ એક ઘરના માલિક માટે; સારામાં સારી તો એ જ હોવી જોઈએ ને? બીજી શશીકલા અને રશ્મિ માટે; અને ત્રીજી ફાલતું : નોકરો, મહેમાનો, સગાંવહાલાં અને મિત્રો અમલદારોને જરૂર પડ્યે ઉપયોગમાં આવે એ માટે.

'મારી કાર મોકલવાનું તને મન છે? ભલે, એમ કર...પણ તારો એ કવિ કદી કારમાં બેઠો છે ખરો? નહિ તો... મારી કાર એને અટપટી લાગશે. નિરાંતે અઢેલીને એનાથી બેસાશે પણ નહિ.' પિતાએ ગમ્મતમાં કહ્યું. પુત્રીની ઈચ્છા પ્રમાણે કરવા તત્પર રહેતા વહાલસોયા પિતા વલ્લભદાસનો વાંક ન હતો કે તેમની ગમ્મતમાં કવિ ચન્દ્રાનનની ગરીબી ઉપર તેઓ હસતા હતા. જગતભરના કવિઓ ગરીબ જ હોય છે – હિંદમાં ખાસ કરીને. પરંતુ ધનિકોને ખબર નથી હોતી કે સૂર્ય, ચંદ્ર અને તારાઓ સાથે સતત રમત કરતા કવિઓને કરોડપતિની કારનો ચળકાટ આંજી શકતો નથી !

રશ્મિએ તો પિતાની જ કાર કવિ માટે મોકલાવી.

સાડાચારનો ટકોરો થયો અને કવિએ કાર સાથે બંગલાના કંપાઉન્ડમાં પ્રવેશ કર્યો. રશ્મિનું હૃદય જરા ધડકી ઊઠ્યું. આગળ જઈ તેણે કારનું બારણું ખોલી નાખ્યું અને ચંદ્રાનન હસ્તે મુખે બહાર આવ્યા. જે વ્યક્તિ પ્રત્યે સદ્દભાવ હોય એ વ્યક્તિ સહુને આકર્ષક લાગે છે – પછી એ વ્યક્તિ રૂપે, રંગે જેવી હોય તેવી ! રશ્મિને ચંદ્રાનનનો દેખાવ પૂજ્યભાવપ્રેરક લાગતો જ હતો, તે વધી ગયો.

'બહેન ! બગીચો બહુ સરસ છે. તું કયા કયા ક્યારા સાચવે છે?' કારમાંથી ઊતરી રશ્મિના નમનનો પ્રત્યુત્તર નમનથી આપી