પૃષ્ઠ:Kanchan Ane Geru.pdf/૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
છેલ્લી વાર્તા : ૧૫
 

'સાહેબ ! જમવાનું કાંઈ કરવું છે?' નોકરે પૂછ્યું.

'કેટલા વાગ્યા? એક તો વાગી ગયો. મારે જમવું નથી. તને આવડતું હોય તો તું તારી મેળે કરી લે. કહી તે આખા ઘરમાં પાછો ફરી આવ્યો. ઘરમાં કાચું કોરું ખાવાનું આશ્લેષાએ મૂકયું હતું તે તેણે ખાઈ લીધું. પરંતુ એની જીભમાંથી સ્વાદ ઊડી ગયો હતો. માનવજાતને શિક્ષણ આપવા સર્જાયેલો એ કવિગુરુ પત્નીનો જ અપરાધી બની રહ્યો શું? એની કવિતા કોણ વાંચશે? એની વાર્તામાં પ્રસંગો ક્યા આવી શકશે ? તેની પત્નીએ જ એક ક્ષણમાં તેને શિખરેથી ઊંચકી જમીન ઉપર પટકી દીધો ! તેણે કવિતા લખવી શરૂ કરી. સ્ત્રીવિરુદ્ધ, સ્ત્રીની નિર્બળતા વિરુદ્ધ, સ્ત્રીના સ્વાર્થની વિરુદ્ધ, સ્ત્રીની અદેખાઈ વિરુદ્ધ તેને એકાએક શબ્દચનાઓ અને પ્રસંગ પરંપરાઓ સ્ફુરવા લાગી. અઠ્ઠાણું લીટીઓનો પૃથ્વીછંદ તેણે જોતજોતામાં રચી કાઢ્યો સાત ધ્વનિતોમાં વહેંચાયેલો ! પરંતુ તે પછી તેને થાક લાગ્યો. તે જમ્યો ન હતો ! કલ્પના અને ઊર્મિ ઉપર જીવનારને આવા ભૂખતરસ સરખાં પાર્થિવ બંધન શાં?

'સાહેબ ! આ ચિઠ્ઠી અને થાળ આવ્યાં છે.' દુઃખી થતા નોકરે કહ્યું.

'થાળ ? કોણે મોકલાવ્યો ? લાખો પ્રશંસકોમાંથી કોઈને... અરે ! આ તો આશ્લેષાના અક્ષર !'

સુનંદે ચિઠ્ઠી વાંચી. ચિઠ્ઠીમાં લખ્યું હતું :

"સુનંદ!

તું આજ જમ્યો જ નથી. પાડોશીહક્કથી હું આ સાથે થાળ મોકલું છું. અંદર ઝેર નથી એટલી હું ખાતરી આપું છું.
આશ્લેષા."


સુનંદને આશ્લેષાના અક્ષર ગમ્યા અને ન પણ ગમ્યા. આશ્લેષાએ બજાવેલો પાડોશહક્ક તેને ગમ્યો અને ન પણ ગમ્યો. આશ્લેષાને