પૃષ્ઠ:Kanchan Ane Geru.pdf/૨૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૨૬ : કાંચન અને ગેરુ
 

'કાંઈક નહિ..એમના જીવનની જ.’ રશ્મિએ કહ્યું...

શશીકલાએ સહેજ ઊંચે જોયું, અને પુત્રીને કહ્યું : 'કોઈના જીવનની કથા સાંભળવાનો આગ્રહ ન રાખીએ, બહેન !'

'આગ્રહ નહિ, અમે તો સમજૂતી માગીએ છીએ.' એક મિત્રે કહ્યું.

‘શાની સમજૂતી?' શશીકલાએ ચા પીતાં પીતાં પૂછ્યું.

'કવિ ચન્દ્રાનનને પ્રેરણા ક્યાંથી મળે છે, એ સંબંધમાં..'

'મહેમાનને હેરાન ન કરી શકાય.' શશીકલાએ કહ્યું,

'મા! તારે...ઊલટો..અમને સાથ આપવો જોઈએ. શુષ્ક સાદા જીવનમાં – અપરિણીત જીવનમાં કવિ પ્રેરણા કેમ મેળવે, એ જાણવું જરૂરી નહિ શું ?' રશ્મિએ કહ્યું.

'હા, હા. સાંભળવું જોઈએ. એમાં હરકત શી છે? ચન્દ્રાનન ! આપને કાંઈ હરકત છે?' વલ્લભદાસે યૌવનનો પક્ષ લીધો. એમને તો માત્ર વાર્તારસ જ મહત્વનો હતો.

'હરકત? વાત બહુ જ ટૂંકી છે. રસ પણ સહુને ભાગ્યે જ પડે...' ચદ્રાનન જરા ખમચાઈને બોલતા હતા.

'ભલે રસ ન પડે. અમારે સમજવું છે કે રસ વગરના જીવનમાંથી રસ કેમ સર્જી શકાય !' એક કિશારીએ કહ્યું.

ચન્દ્રાનને સહજ આસપાસ જોયું, શશીકલા સામે જોયું. શશીકલાનું ગંભીર મુખ નીચું જ નમેલું હતું. સહુએ તાળી પાડી ચન્દ્રાનનેને વાત કહેવાનું આહ્‍વાન આપ્યું.

'ટૂંકી વાત કહું, સામાન્ય ગમ્મત જેવી વાત કહુ તો એટલું જ કે...મારે કબૂલ કરવું જોઈએ... એક સ્ત્રી-દેહ અને સ્ત્રી-આત્મા મારી કવિતાને હજી પ્રેરણા આપે છે...બસ?' ચન્દ્રાનને કહ્યું.

'શું કવિસાહેબ, તમે પણ ! જરા સમજાય એવું તો કહો ? કઈ સ્ત્રી ? ક્યાં મળી?...' વલ્લભદાસે પૂછ્યું.

'કવિતાની કલાની... સ્ત્રીની ... કીર્તિની બધી ઘેલછાઓ