'કાંઈક નહિ..એમના જીવનની જ.’ રશ્મિએ કહ્યું...
શશીકલાએ સહેજ ઊંચે જોયું, અને પુત્રીને કહ્યું : 'કોઈના જીવનની કથા સાંભળવાનો આગ્રહ ન રાખીએ, બહેન !'
'આગ્રહ નહિ, અમે તો સમજૂતી માગીએ છીએ.' એક મિત્રે કહ્યું.
‘શાની સમજૂતી?' શશીકલાએ ચા પીતાં પીતાં પૂછ્યું.
'કવિ ચન્દ્રાનનને પ્રેરણા ક્યાંથી મળે છે, એ સંબંધમાં..'
'મહેમાનને હેરાન ન કરી શકાય.' શશીકલાએ કહ્યું,
'મા! તારે...ઊલટો..અમને સાથ આપવો જોઈએ. શુષ્ક સાદા જીવનમાં – અપરિણીત જીવનમાં કવિ પ્રેરણા કેમ મેળવે, એ જાણવું જરૂરી નહિ શું ?' રશ્મિએ કહ્યું.
'હા, હા. સાંભળવું જોઈએ. એમાં હરકત શી છે? ચન્દ્રાનન ! આપને કાંઈ હરકત છે?' વલ્લભદાસે યૌવનનો પક્ષ લીધો. એમને તો માત્ર વાર્તારસ જ મહત્વનો હતો.
'હરકત? વાત બહુ જ ટૂંકી છે. રસ પણ સહુને ભાગ્યે જ પડે...' ચદ્રાનન જરા ખમચાઈને બોલતા હતા.
'ભલે રસ ન પડે. અમારે સમજવું છે કે રસ વગરના જીવનમાંથી રસ કેમ સર્જી શકાય !' એક કિશારીએ કહ્યું.
ચન્દ્રાનને સહજ આસપાસ જોયું, શશીકલા સામે જોયું. શશીકલાનું ગંભીર મુખ નીચું જ નમેલું હતું. સહુએ તાળી પાડી ચન્દ્રાનનેને વાત કહેવાનું આહ્વાન આપ્યું.
'ટૂંકી વાત કહું, સામાન્ય ગમ્મત જેવી વાત કહુ તો એટલું જ કે...મારે કબૂલ કરવું જોઈએ... એક સ્ત્રી-દેહ અને સ્ત્રી-આત્મા મારી કવિતાને હજી પ્રેરણા આપે છે...બસ?' ચન્દ્રાનને કહ્યું.
'શું કવિસાહેબ, તમે પણ ! જરા સમજાય એવું તો કહો ? કઈ સ્ત્રી ? ક્યાં મળી?...' વલ્લભદાસે પૂછ્યું.
'કવિતાની કલાની... સ્ત્રીની ... કીર્તિની બધી ઘેલછાઓ