પૃષ્ઠ:Kanchan Ane Geru.pdf/૨૪૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
મને વખત નથી : ૨૪૧
 

કહેવાઉં. છતાં નેતાઓ ઉપર અમારું ઘણું અવલંબન રહે છે – જાહેરખબરો બાદ કરતાં – એ હું બેધડક કબૂલ કરું છું. એમના વ્યાખ્યાનોથી અમારાં કૉલમો ભરાય છે, એમની છબીઓથી અમારી કલા પોષાય છે, એમની વાતચીતમાંથી નવનવા સમાચારો ઊભા થાય છે, એમના સ્મિતમાંથી મહાપ્રશ્નો ઉકેલાય છે અને એમના મૌનમાંથી ગહન પ્રશ્નો જન્મે છે. એટલે પત્રકારોને તો નેતાઓ વગર ચાલે જ નહિ.

જે પક્ષ જોરમાં એ પક્ષનો બહુબોલો સભ્ય એ અમારે મન નેતા. જોકે નિર્બળ પક્ષને હસવા માટે પણ અમે સ્થાન આપી અમારું ન્યાયીપણું સિદ્ધ કરીએ છીએ ખરા. જેને પક્ષ નહિ એનું પત્રકારિત્વમાં જ અસ્તિત્વ નહિ; સિવાય કે એ પક્ષહીન પુરુષ ગાંજો વેચતાં પકડાયેલો પુરબિયો હોય, ખૂન કરી ભાગી ગયેલ બહારવટિયો હોય, કોઈની પરણેતરને ભગાડી ગયેલો રસિક પડોશી હોય અગર તપાસ ન થઈ શકે એવા ગામમાં ગાય જેવા મુખવાળું બાળક જેના ઘરમાં અવતર્યું હોય એવો કોઈ ભાગ્યશાળી ગ્રામવાસી હોય !

અમારા શહેરના મહાન નેતા ભગવાનદાસથી ભાગ્યે જ કોઈ અજાણ્યું હોય. એમના નેતૃત્વ નીચે ઘણી સભાઓ ભરાઈ, ઘણા સમારંભો ગોઠવાયા, ઘણી લડતો લડાઈ અને ઘણી જેલજાત્રાઓ પણ થઈ ચૂકી. સ્વરાજ્ય આવવામાં તેમનો સક્રિય ફાળો ઘણો મોટો. પ્રધાનપદ માટેની પૂરી લાયકાત છતાં રહી ગયેલા અનેક નેતાઓમાં તેમનું સ્થાન આગળ હતું. પરંતુ તેઓ પોતાના અસંતોષ આગળ કરી સેવાકાર્યમાં પાછળ પડી જાય એવા સ્વાર્થી ન હતા. આમ સ્વરાજ્ય આવ્યા છતાં, ઓછાં લાયક માણસો પ્રધાનની ખુરશીઓ ઉપર ઠસી જવા છતાં, ભગવાનદાસનું નેતૃત્વ તો ચાલુ રહ્યું જ. એમની હાજરી વગર જિલ્લાનું એક પણ કામ આગળ વધી શકતું નહિ, દેશને સ્વરાજ્ય મળ્યા છતાં હું અંગ્રેજી ભાષાનો અને અમલદારોનાં અંગ્રેજી હોદ્દાનામોનો મોહ હજી તલભાર પણ ઓછો થયો