પૃષ્ઠ:Kanchan Ane Geru.pdf/૩૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૮ : કાંચન અને ગેરુ
 


એકાએક તાંડવ છોડી વૃદ્ધના પગ પાસે સુલતાન બેસી ગયો. વૃદ્ધને કાંઈ વાગ્યું હોય એમ એના મુખ ઉપરથી દેખાયું નહિ.

'જોયું સાહેબ ! કેટલો સાલસ છે? આપ થોડું રમાડશો તો આપને એની માયા થઈ જશે. સુલતાન તો એક સુલતાન જ છે !'

હું કાંઈ પણ બોલ્યા વગર ઘરમાં ચાલ્યો ગયો. મારા પોતાનાં બાળકોને રમાડવું મને ફાવતું નથી તો હુ વળી આ વરુ આકૃતિના કૂતરાને ક્યાં રમાડવા જાઉં ? પરંતુ એક આશ્ચર્ય જરૂર મને થયું કે કૂતરાએ આટઆટલા હુમલા કર્યા છતાં વૃદ્ધને ઘા પડ્યો હોય કે લોહી નીકળ્યું હોય એમ દેખાયું નહિ.

કૂતરાના દાંત અને નખ ક્યાં અદશ્ય થઈ ગયા હશે ? અને કૂતરાએ આટઆટલી ઝપાટો મારી છતાં વૃદ્ધને કાંઈ પણ વાગ્યું દેખાયું નહિ એનું શું કારણ હશે?

નખક્ષત અને દંતક્ષતનાં વિગતવાર વર્ગીકરણ વાત્સાયને આપ્યાં છે ખરાં, પરંતુ તે સ્ત્રીપુરુષ વચ્ચેના પ્રેમ ઝણઝણાટ અંગે; નહિ કે માનવી અને માનવેતર પ્રાણી અંગે.

જોતજોતામાં મને ખબર પડી કે નવો આવેલો ભાડૂત કોઈ દેશી રાજ્યમાંથી નાસી આવેલો રાજકુટુંબી હતો. એનું નામ બલવીરસિંહ હતું. એનું કોઈ સગુંવહાલું હોય એમ દેખાતું ન હતું, અને હશે તો ય તે બધાંથી દૂર રહેવા મથતો એ વૃદ્ધ પોતાના કૂતરા સિવાય બીજા કશામાં રસ દર્શાવતો ન હતો. કૂતરાને તે ‘સુલતાન'ને નામે બોલાવતો હતો, અને જોકે કૂતરાંના સમૂહને એ અણગમતો હતો અને શેરીનાં માણસોને મારી માફક તે ભયપ્રવેશ બની રહ્યો હતો, છતાં ‘સુલતાને' કોઈને પણ ઈજા કરી હોય એવો પ્રસંગ બન્યો હોય એમ લાગ્યું નહિ. બધાં બૂમો મારતાં કે આ રાક્ષસ જેવો કુતરો પડોશમાં કેમ આવીને વસ્યો હશે? છતાં સુલતાન કોઈને કરડ્યાની