પૃષ્ઠ:Kanchan Ane Geru.pdf/૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સુલતાન : ૩૧
 

બચકું છોડાવ્યું .

'તને ખબર કેમ પડી?' મેં બલવીરસિંહને પૂછ્યું.

'કાંઈ શંકા ભરેલું વાતાવરણ લાગે ત્યારે સુલતાન મને જગાડે છે. તમારી એક બારીમાંથી એક માણસને ઊતરતો જોતાં મને સુલતાને હલાવ્યો. હું ઓટલે જ સૂઈ રહુ છું એ આપ જાણો છો. કોઈને ખબર ન પડે એવો કૂદકો મારી પ્રવીણ ચોર નીચે ઊતર્યો અને મેં બૂમ મારી : “ઠેરો !” ઠેરવાને બદલે એણે દોટ મૂકી સુલતાન મારી પાસે જ હતો એની આ ચોરને ખબર નહિ હોય. મેં સુલતાનને ઈશારો કર્યો અને એનું પરિણામ આપ જૂઓ છો. ચોર કદાચ એને મારી નાખીને છૂટો થાત એમ ધારતો હશે, પણ એની એ ભૂલ છે; સુલતાન હથિયારથી કેમ બચવું એ જાણે છે.'

જે સુલતાનને રવાના કરવા માટે હું વિચાર કરતો હતા એ જ સુલતાને મારી આબરૂ બચાવી શું ? મારા અસીલનો સામાવાળો ભયંકર ખટપટી માણસ હતો. મારી પાસે મહત્વના કાગળો હતા તે એ જાણતો હતો. છતાં આમ શહેરના જાણીતા ગુંડાને પૈસા આપી કાગળો ચારવાની એ હિંમત કરી શકે એમ મારા માન્યામાં પણ આવતું નહિ. ખરી વાત ન લાગવા છતાં એ વાત ખરી જ નીવડી હતી !

મેં કાગળો લઈ લીધા. ચોરની વ્યવસ્થા પણ કરી પોલીસને સોંપ્યો. એના લોહીભરેલા પગને બલવીરસિંહે પાટો તો બાંધ્યો પરંતુ તેને પોલીસમાં સોંપવાની જરા ય આનાકાની ન કરી. આ પરિસ્થિતિએ મને મારા દાવામાં પણ સારી મદદ કરી. કાગળો સાચા અને મહત્વના હોવાની સાબિતી સામા પક્ષના ચોરી કરાવવાના પ્રયત્નથી જ મળી ગઈ. આમ સુલતાન મને આર્થિક રીતે પણ ઉપયોગી નીવડ્યો. મને તેના પ્રત્યે સદ્દભાવ ઉત્પનન થયો, પરંતુ એના ભયંકર દેખાવ અને દાંત મારા સદ્દભાવને સક્રિય સ્વરૂપ ભાગ્યે જ લેવા દેતા, બલવીરસિંહની સાથે મારો સંબંધ વધ્યો. પરંતુ તે