મારી પાસે એક ચોપડી છે; તું વાંચી જોજે. મા ! તારી ખાતરી થશે કે મૂર્તિપૂજા સાચી નથી.'
'એ પુસ્તક તો વર્ષો પહેલાં મેં વાંચ્યું હતું.'
'છતાં તું આ બધી પૂજા કરે છે? મૂર્તિઓએ આપણને કાંઈ નથી આપ્યું ' માએ ઊદાર સ્મિત કરી જવાબ આપ્યો : 'તને શ્રદ્ધા ન હોય તો તું પૂજા–પ્રાર્થના ન કરીશ.'
અને ખરેખર, અશોકે ત્યારથી માને રાજી રાખવા ખાતર પણ ઘરના દેવની પૂજા કે દર્શન બંધ કરી દીધાં.
જેમ જેમ ભણતર વધતું ચાલ્યું તેમ તેમ તેની મુશ્કેલીઓ પણ વધતી ચાલી. સુનંદા તેને મુશ્કેલી દેખાવા દેતી નહિ; પરંતુ અશોકની યે આંખ ઉઘડતી હતી. માનું ઘસાતું શરીર તે જરૂર જોઈ શકતો હતો, અને તે પોતે પણ ગરીબી ઘટાડવા બનતો પ્રયત્ન કરતો હતો. એક દિવસ તેણે માતાના હાથમાં વીસ રૂપિયા લાવીને મૂક્યા.
'ક્યાંથી લાવ્યો, દીકરા ? ' માતાએ પૂછ્યું.
'ચોરી કરીને.' સહજ મુખ પર સ્મિત અને આંખમાં ઉજાસ લાવી અશોકે કહ્યું.
ક્ષણ બે ક્ષણ માએ તેની સામે જોયું.
'હું ન માનું કે મારો દીકરો ચોરી કરે.'
'મા, મને બહુ થાય છે કે...'
‘શુ ?'
'બધા પૈસાદારોને લૂંટી લઉં !'
'ચોરી કે લૂંટનો પૈસો મારા હાથમાં કદી ન મૂકીશ.'
'મા ! આ પૈસા તો "ટ્યુશન” ના છે. મેં એક પૈસાદારના બાળક પુત્રને ભણાવવાનું એક માસથી શરૂ કર્યું છે.'
‘મને કહ્યું કેમ નહિ ?'
'મનમાં એમ થયું કે તારા હાથમાં પહેલો પગાર મુકી