પૃષ્ઠ:Kanchan Ane Geru.pdf/૯૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ઘુવડ : ૯૧
 


પરંતુ એ રમત રમત રહી નહિ. જાપાનીઓની એક ટુકડીએ કોણ જાણે ક્યાંથી અંધારામાં આવી અમને ઘેરી લીધા. બીકથી નાસવા મથતા પુરુષો ઉપર તેમણે ગોળીઓ છોડવા માંડી; કોલાહલ મચી રહ્યો. શું થયું તે સમજાય તે પહેલાં અમારામાંથી ત્રણચાર પુરુષોને પકડી જાપાની સૈનિકો ટેકરાની નીચે ઊતરી ગયા અને અમે દુશ્મનકેદી બની ગયા ! નિરુપમાની મૂર્તિ મારી આંખ સામે જ ઊઘડતી; પરંતુ એ સાચી નિરુપમા ન હતી ! એ કલ્પનાનું ધુમ્મસ હતું. નિરુપમા અને હું વિખૂટાં પડ્યાં ! દેહ અને પ્રાણ અલગ અલગ ઊડવા લાગ્યા ! એ પ્રિયપ્રાણ ક્યાં હશે, એનું શું થયું હશે, એ વિચારની ભયંકરતાએ મારા રોમેરોમમાં આગ લગાડી.

અને થોડા જ વખતમાં આઝાદ ફોજ સાથે જોડાઈ જાપાની બંધનથી મુક્તિ મેળવવાને યોગ ઊભો થયો. જાપાનીઓના શરણાગત બનીને નહિ, પરંતુ તેમને સમોવડિયા રહી તેમની સામે ઊભી શસ્ત્ર ધારણ કરી હિંદ ઉપર, બ્રિટનબંધન ધારી હિંદ ઉપર આક્રમણ કરી તેનાં બંધન તોડવા આગેકદમ ભરવાની યોજનામાં હું સામેલ થયો. એ તરવરાટ, એ થરકાટ, એ ઉત્સાહ, એ ઉન્માદ અકથ્ય હતાં. એ ઉન્માદમાં અમે શું શું કર્યું એનો ઈતિહાસ જ્યારે લખાય ત્યારે ખરો. એમાંથી બે સિદ્ધિઓ મને તો મળી : એક શસ્ત્રસજ્જતા અને બીજી સિદ્ધિ તે સંપૂર્ણ અભય. ગોળી, સંગીન ભાલા કે તલવારથી શત્રુને વીંધી નાખતાં મને જરા ય અરેકારો થતો નહિ; એ જ સામગ્રી સાથે દુશ્મન મારી સામે આવી મને વીંધી નાખે એનો સહેજ પણ ભય મને રહ્યો નહિ. મૃત્યુને હું તુચ્છકારી શક્યો. ગુજરાતી તરીકે મને એ મોટી સિદ્ધિ મળી.

હિંદમૈયાની આઝાદમૂર્તિ અમારા સહુના હૃદયમાં ઊડવા લાગી. પરંતુ એ મૂર્તિ સાથે સાથે નિરુપમાની મૂર્તિ મારા હૃદયમાં ઊગડતી હતી એ કેમ ભુલાય? જાપાનીઓએ મને નિરુપમાથી વિખૂટો પાડ્યો હતો; પરંતુ હિંદ અને જાપાન કાંઈ વેર હતું જ નહિ. બ્રિટન