પૃષ્ઠ:Kankavati.pdf/૧૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ઘોલકી કોઈ બગાડશો મા; મેં કોઈનું નથી બગાડ્યું."

આવી વાણી સાંભળીને તો ગોરના મનમાં થયું છે કે છોકરી કેવી ગુણિયલ લાગે છે ! ગોર તો એને પૂછે છે : "બેટા, તું કોની દીકરી છો ?"

"હું ફલાણા પંડ્યાની દીકરી. ચાલો મારે ઘરે. મારા બાપા બહાર ગયા છે."

છોકરી તો ગોરને ઘેર તેડી ગઈ છે. દાતણ ને પાણી દીધાં છે; નાવણની કૂંડી દીધી છે. એણે તો કાંઈ મહેમાનગતી માંડી છે !

છોકરીના બાપા ઘેર આવ્યા છે. મહેમાનને તો હેતપ્રીતે મળ્યા છે. આવવાનું કારણ પૂછ્યું છે.

ગોર કહેઃ "મારો દીકરો કાશીએ ભણવા ગયો છે. એને સારુ કન્યા જોવા નીકળ્યો છું. તમારી કન્યા મારે હૈયે વસી ગઈ છે."

કન્યાના તો ત્યાં બોલ બોલાણા છે ને ચાંદલા થયા છે.

ગોર કહે, "હવે વિવા પણ સાથોસાથ કરી નાખવો છે. અમારું ગઢપણ છે. કાયાના કાંઈ ભરોસા નથી. અમારે તો પુરુષોત્તમ માસ નહાવો છે."

"અરે વેવાઈરાજ ! વર વિના કન્યા કોની સાથે ફેરા ફરે ?"

"ત્રણ ફેરા આ પોથી સાથે ફરે. ને ચોથો ફેરો દીકરો કાશીએથી ભણીને આવશે ત્યારે ફેરવી લેશું."

ચાર કળશાની ચોરી ચીતરી છે. આલાલીલા વાંસ વઢાવ્યા છે. એમ કરી ત્રણ ફેરા પોથી સાથે ફેરવ્યા છે. ગોર તો વહુને તેડી ચાલી નીકળ્યા છે.ઘેર આવે ત્યાં વહુનાં રૂપ અને ગુણ દેખીને સાસુ તો ગાંડાં ગાંડાં થઈ ગયાં છે.

ગામ આખામાં તો વાતો થઈ રહી છે કે "જો તો બાઈ ! દીકરા વિનાની વહુ આવી ! વાંઝિયાને ઘેર વહુ આવી ! કાંઈ લખમી જેવી વહુ આવી."

વહુને વાસીદું વાળવા દેવાય નહિ, એટલે રોજ સવારે સાસુ વેલાં વેલાં ઊઠીને વાસીદું વાળી નાખે છે. પછી સાસુ સસરો નિરાંતે પુરુષોત્તમ માસ ના'વા ચાલ્યાં જાય છે. પાછાં આવે ત્યાં તો વહુ લખમી ભોજન રાંધીને સાસુ સસરાને જમાડે છે.

મારા સ્વામીનાથ કાશીએથી ક્યારે ભણી આવે ! ક્યારે ભણીને આવે ! એવી વાટ જોતી વહુને તો ક્યાંય આનંદ માતો નથી.

એક દી તો સાસુ મોડાં ઊઠ્યાં છે. ઝપટ ના'વા ચાલ્યાં જાય છે. વાંસેથી વહુએ તો વાસીદું વાળ્યું છે. વાળીને તો ઉકરડે નાખવા જાય છે.

સૂંડલો ઠલવીને વહુ પાછી વળે ત્યાં તો પાડોશણ બાઈઓ વાતો કરે છે : "જોયું બાઈયું ! દીકરા વિનાની વહુ કેવું ઘરનું કામ કરે છે ! ઓહોહો ! વાંઝિયાંને ઘેર કાંઈ વહુ આવી ! કાંઈ વહુ આવી !"