પૃષ્ઠ:Kankavati.pdf/૧૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ડાબે ખંભે જનોઈ પડી છે.
કપાળે ચંદનની આડ્ય કરેલી છે.
ઘીના દીવાની જ્યોતો બળે છે.

બાઈ તો ઘૂમટો કાઢીને ઊભી રહી ગઈ છે. એના મોમાંથી તો વાચા ફૂટતી નથી.

પાટલે બેઠેલો પુરુષ બોલે છે કે "હે સતી ! તમે આંહીં શું કામે આવ્યાં ? શા માટે આ ઓરડો ઉઘાડ્યો ? બીડી દો, ઝટ બીડી દો, મારાં માબાપનાં વ્રત ભાંગશે. બહાર પધારો. માબાપ આવશે અને આપણને લજ્જા લાગશે."

બાઈ તો પૂછે છે કે "હવે તમે કે'દી બહાર નીકળશો ? બા-બાપાએ કપટ કરીને મને શીદને કહ્યું કે તમે કાશીએ ગયા છો ? બોલો, હવે કે'દી બહાર નીકળશો ?"

"જાઓ સતી ! હવનને ટાણે હું બહાર નીકળીશ."

બાઈએ તો ઊજમે ઊજમે સાત ભંડારા વાસી દીધા છે. ફૂલ જેવું રાંધ્યું છે.

ત્યાં તો સાસુ સસરો ઘેર આવ્યાં છે. બાઈએ તો પોતિયાં લીધાં છે.કળશા ભરી દીધા છે. પાટલા ઢાળી દીધા છે. ભાણાં પીરસી દીધાં છે ને રૂડી રીતે જમાડ્યાં જુઠાડ્યાં છે.

વહુને તો હરખાળી ભાળીને સાસુ સમજ્યાં કે સાત ભંડારની કૂંચીઓ દીધાંથી વહુ રીઝ્યાં છે.

એમ કરતાં કરતાં તો અમાસ આડા ચાર દી રહ્યા છે.

વહુ કહે છે કે "બાઈજી, બાઈજી, જગન આદરો."

બાઈજી કહે, "સારુ બાપુ, તમારી મરજી ! તમારે કરવું છે ને તમારે વાવરવું છે. ભંડારની કૂંચિયું તો તમારી જ પાસે છે."

વહુએ તો દળાવ્યું છે, ભરડાવ્યું છે, ને તૈયાર ટપકે રાંધ્યું છે.

અમાસનો દિવસ આવ્યો છે. વહુ ને સાસુએ ગામમાં નોતરાં દેવા મોકલ્યાં છે. પણ કોઈએ એનાં નોતરાં ઝીલ્યાં નથી. ગામના લોકો વાંઝિયાંનાં ઘરનું ખાવાની ના પાડે છે.

વહુ તો ઘેર આવી છે. બાઈજીને વાત કરી છે.

બાઈજી કહે, "ઠીક ત્યારે, પીપળાને નોતરાં દઈ આવો." વહુ તો સંધાય પીપળાને નોતરાં દઈ આવી છે. એકેય પીપળાને ભૂલી નથી. બધા પીપળાએ એનાં નોતરાં ઝીલ્યાં છે.

સાંજ પડી છે.પીપળાએ તો બામણના વેશ લીધા છે. ડોસીને ઘેર જમવા નીકળ્યા છે.પીળાં પીતાંબર પહેર્યાં છે. હાથમાં લોટા લીધા છે ને સૌ પીપળા મંડપમાં આવ્યા છે.

મંડપમાં તો મનખો માતો નથી.હોમ હવન થાય છે.વેદના મંતર બોલાય છે.આખું ગામ હસે છે કે "આ વાંઝિયાં વરણીમાં દીકરો ક્યાંથી કાઢશે ?"

કોઈ કહે, "મને ખોળે લેશે ! કોઈ કહે કે "ના મને ખોળે લેશે !"