પૃષ્ઠ:Kankavati.pdf/૧૫૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

સતી ! તમે ક્યાં ચાલ્યાં ગયાં ? જ્યાં હો ત્યાંથી પાછા આવો. નીકર હું પ્રાણ નહિ રાખું.

જટામાંથી નીકળીને પારવતીજી તો સન્મુખ આવી ઊભાં છે. પ્રભુજીને તો કહ્યું છે, કે જોયું મા’રાજ ! હું ઘડીક વાર વેગળી થઈ તો તમે વિલાપ માંડ્યા, વાદળ ગજાવ્યું, ત્યારે આ ખીલકોડીને તેના સ્વામી વિના કેવી વપત પડતી હશે ! એ બૂડીને મરી જશે તો એનો સ્વામીનાથ શી રીતે જીવ રાખશે ? માટે ખીલકોડીને મનખા-દેઈ અરપણ કરો.

શિવજીને તો વાતનો ઘૂંટડો ઊતર્યો છે, એણે તો ખીલકોડી ઉપર અમીની છાંટ નાંખી છે. ખીલકોડી તો સોળ વરસની સુંદરી થઈ ગઈ છે. રૂપ તો મા’દેવનાં દીધેલાં છે, એટલે ક્યાંય માતાં નથી. વાવના પાણીમાં એની કાન્તિના ઝળેળાટ પથરાઈ ગયા છે.

રાણીને અંગે તો લૂગડાં નથી. નગન ઊભી રહી છે. લાજની મારી મોલમાં પણ જાતી નથી. વાવમાં ને વાવમાં થંભી ગઈ છે. કુંવર ગામતરે ગયો છે. એને તો પેટમાં ધ્રાસકો પડ્યો છે; અરે એને કોણ ખવરાવશે ? કોણ પીવડાવશે ? પાણી છાણી કોણ પાશે ? ફટય રે અભાગિયા જીવ ! તું ઘરબહાર આવીને ઘરની અસ્ત્રીનેય ભૂલી ગયો !

કુંવરે તો ઘોડો દોટાવી મેલ્યો છે. શ્વાસભર્યો પંથ કાપે છે. શેરમાં આવે છે. મોલમાં જાય છે. પાંજરામાં ખીલકોડીને દીઠી નથી. દોડી દોડીને ઓરડે ઓરડે ગોત્યા કરે છે. પણ રાણીને ક્યાંય ભળતો નથી.

અરેરે! પાણી પીવા વાવમાં ગઈ હશે, ને ત્યાં બૂડી તો નહિ ગઈ હોય ! એવું વિચારીને વાવમાં દોડે છે. છેટેથી વાવમાં ઝળેળાટ ભાળે છે. માંહી ડોકાય ત્યાં નગન ડીલે સુંદરી દીઠી !

સુંદરીએ સાદ કર્યો કે, હે સ્વામીનાથ ! વાંસો દઈને ઊભા રે’જો ! તમારી પાંભરી આંહીં ફગાવજો ! પહેરીને હું બહાર આવું.

રાજકુંવરે પાંભરી ફગાવી છે. વાંસો વાળીને ઉભો છે. સુંદરી બહાર આવી છે.

કુંવરને તો એણે બધી વાત કરી છે, બેય જણાં હરખને આંસુડે નાય છે. તે દીથી ઘર-સંસાર માંડે છે.

હે મા’દેવજી ! એને ફળ્યા એવાં સહુને ફળજો !