પૃષ્ઠ:Kankavati.pdf/૧૭૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

જમ કે' છે, બા, ખીહરને[૧] દી ખડના ભરોટા ઉલાળ્યા હોય તો પોકારો.

ખીહરને દી મેં ખડના ભરોટા ઘણાય ઉલાળ્યા છે.

ત્યાં તો ખડના ભરોટા આવ્યા છે, સાંઢડા ખાવા રહ્યા છે, બા હાલ્યાં ગયાં છે.

આઘેરાંક જાય ત્યાં કૂતરાંનાં વન આવ્યાં છે.

અરેરે ! મારી રાજા દેઈ છે. કૂતરાં તો ફાડી જ ખાશે. આમાં કેમ હલાશે ?

જમ કે' છે, બા, જો ખીહરને દી કૂતરાને રોટલા નાખ્યા હોય તો પોકારો.

બા કે' મેં ખીહરને દી ઘણાય રોટલા નાખ્યા છે.

ત્યાં તો રોટલા આવ્યા છે. કૂતરાં ખાતાં રહ્યાં છે, ને બા હાલી નીકળ્યાં છે.

આઘેરાંક જાય ત્યાં તો કાગડાં-ગરજાંનું વન આવ્યું છે.

અરેરે ! આમાં મારી શી ગતિ થાશે ? મારી રાજાદેઈ છે.

જમ કે' છે, જો બા, સોળ સરાદ નાખ્યાં હોય તો પોકારો.

બા કે' મેં તો બહુ જ સોળ સરાદ નાખ્યાં છે.

ત્યાં તો ખીર ને રોટલી પડી છે. કાગડાં ગરજાં ખાતા રહ્યાં છે, ને બા હાલી નીકળ્યાં છે.

બા ધરમરાજા પાસે પહોંચ્યા છે. ધરમરાજા ! લેખાં લ્યો. લેખાં લ્યો.

ધરમરાજાએ તો લેખાં લીધાં છે. સાત ભંડારોની કૂંચી સોંપી છે. કહ્યું છે કે છ ભંડાર ઉઘાડજો. સાતમો ઉઘાડશો મા.

બા તો પહેલો ભંડાર ઉઘાડે છે ત્યાં મગ ને ચોખા જોયા છે.

બીજો ભંડાર ઉઘાડે ત્યાં ઘ‌ઉં ને જવ ભર્યા છે.

ત્રીજો ભંડાર ઉઘાડે ત્યાં નકરાં વાસણ ભર્યાં છે.

ચોથો ભંડાર ઉઘાડે ત્યાં વસ્તર ભર્યાં છે. પાંચમો ભંડાર ઉઘાડે ત્યાં સાચાં મોતી ભર્યાં છે.

છઠ્ઠો ભંડાર ઉઘાડે ત્યાં સોનામોરું ભરિયું છે.

બા કહે છે, ઓહો ! ધનદોલતનો પાર નથી. ખાશું, પીશું ને આનંદ કરશું. ધનદોલત વાવરશું. પણ આ સાતમા ભંડારમાં શું હશે ?

ધરમરાજાએ ના પાડી'તી તો ય બાએ તો સાતમો ભંડાર ઉઘાડ્યો છે. ઉઘાડીનેં જુઓ ત્યાં તો કુંભી-કંડ છે, ને કુંભી-કંડમાં ભાઈ-ભોજાઈ ડબકાં ખાય છે.

ઓહો ! મારાં ભાઈ-ભોજાઈએ શાં પાપ કર્યાં હશે ?

બા તો ધરમરાજા પાસે જાય છે. કહે છે કે મારાં ભાઈ-ભોજાઈને લોહીપરુના કંડમાંથી કાઢો. એણે શાં પાપ કર્યાં હશે તે કંડમાં પડ્યાં.

  1. ખીહર (મકરસક્રાંતિ)ને દહાડે ગામના સર્વ પશુઓને જાહેર સ્થળોમાં ઘાસ નાખવાનો રિવાજ છે.