પૃષ્ઠ:Kankavati.pdf/૫૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

આજથી પચીસ વર્ષે

આજથી પચીસ-પચાસ વર્ષે મૂળ કાઠિયાવાડ-ગુજરાતમાંથી બહાર નીકળેલાં પણ પછી તો સંસ્કાર ને સંગે પરદેશી થયેલાં ગુજરાતી કુટુંબો જાપાનીસ ફેરી ટેઈલ્સ કે કંઈક એવું લઈને અંગ્રેજીમાંથી ભાષાંતર કરી છોકરાંને સમજાવવા બેસશે, તે વખતે આવો એકાદ સંગ્રહ “સંસ્કૃતિની એકતા સાચવવામાં કેટલી મદદ કરશે એ અનુમાન કરવામાં જ આ પ્રયાસની સફળતા થઈ ચુકે છે.

‘સ્ટોરીઝ ફ્રોમ વેગ્નર’માં જે ‘મિસ્ટીસિઝમ' ને અશક્યતા છતાં આદર્શો મુકાય છે તે ખરેખર હૂબહૂ આપણી વાતોને ઘણા મળતા છે, અથવા મધ્યયુગનું ચિત્ર જ બધા દેશોમાં સરખી માટીમાંથી મૂર્ત થયું છે.

આપણે ત્યાં એ સવાલ ઉત્પન્ન થયો છે કે આવી વાતોથી શું ? - એનો સમય હવે છે કે નહીં? – આજે હવે એ “પાઘડિયાળા પુત્રની વાત જંગલી મનાશે. એનો એક જ પ્રત્યુત્તર છે કે તમે એવું શું અદ્ભુત તત્ત્વ મેળવ્યું છે કે આ જંગલીપણામાંથી દૂર ખસવા માગો છો? કીસ્ટમસ કાર્ડ પાછળની ફેશન જો ઘેલછા નથી મનાતી પણ સુધરેલી મનોદશ મનાય છે, તો થોડા ખર્ચે જીવનમાં ઉલ્લાસ પણ પૂરે અને આદર્શ પણ ઘડે એવી આ વ્રતકથાઓ શું ખોટી છે?

તરત જ જવાબ મળશે કે આપણો આદર્શ હવે એ પ્રમાણે નહીં રહી શકેઃ પુત્ર અને વહુ આવ્યા એટલે જીવન જીત્યાં એ વાતે આજે ચાલી ગઈ છે.

પરંતુ નવો આદર્શ તો હજુ સ્થિર થયો નથી ત્યાં સુધી, જેમાંથી આદર્શો ઘડી શકવાની કંઈક પણ આશા છે એવી આ ભૂમિકાને વિચારો: એની સામાજિક રીતે સમાલોચના કરોઃ એમાં વહેતું માનસ જુઓ : તંદુરસ્તીભર્યો વૈભવ નિહાળો: અને પછી આજે ફેરવાયેલી પરિસ્થિતિને અનુકૂળ એટલું તમારું બનાવો. કોઈ પણ પ્રજા પોતાનામાંથી જેટલું સરજે તેટલું જ તેને તારશે.

ધૂમકેતુ