સરવરનાં તો ઓળાં પાણી, ડોળાં પાણી,
કૂવે ના'વા જાવું રે!
ડબ દઈને ડબકી ખાધી
ગોર્યમાં વે'લા આવજો રે!
તમને ચીરના ચંદરવા
તમને અટલસનાં ઓશીકાં
તમને પાંભરિયુંના પડદા
વે'લા આવજો રે. -- રિયો રિયો૦
એવરત-જીવરત
[એવરત એટલે આષાઢી અમાવસ્યાનો દિવસ, પરણીને આવેલી હિન્દુ નારી તે દિવસે ઉપવાસ કરે; નાહી, ધોઈ, નીતરતી લટે બ્રાહ્મણને ઘેર જઈ ઘીને દીવે, એવરત-જીવરત નામનાં દેવીઓ આલેખ્યાં હોય તેનાં દર્શન કરે; સાંજે ફળાહાર કરે; રાત બધી જાગરણ કરે; એવું વ્રત પાંચ વર્ષ સુધી કરે; પાંચ વર્ષ પૂરાં થાય એટલે ઉજમણું કરે. ઉજમણું કેવી રીતે કરે ? પહોંચ હોય તો પાંચ ગોરાણીઓ નોતરીને લૂગડાં કરે; પહોંચ હોય તો પાંચ ટોપરાંના વાટકા, પાંચ પૈસા, પાંચ સોપારીઓ, પાંચ નાડાછડીઓના કટકા, પાંચ ચાંદલા - એટલી ચીજો આપે. આ વ્રત કરનારીઓ નીચે લખી વાર્તા સાંભળે]
બામણ ને બામણી હતાં. એને પેટજણ્યું ન મળે. બામણ તો રોજ મા'દેવજીની પૂજા કરીને માથે ફૂલ ચડાવે, એટલે મુસલમાન રોજ બામણની પૂજા ભૂંસીને મા'દેવજીને માથે માછલાં ચડાવે.
બામણને તો વિચાર થાય છે કે -
અરેરે ! આ ન કરવાનાં કામાં કરનારો મુસલમાન; એને ઘેર ઘેરો એક જણ્યાં, ને મારે ઘેર ઘોડિયું બાંધવાયે છોરુ નહિ!
દેવળમાં જઈને બામણ તો પેટ છરી નાખવા તૈયાર થાય છે. ત્યાં તો મૂર્તિના મોંમાંથી માકારો થાય છે, કે -
"મા ! મા!"
બામણ કહે : "કાં!"
મહાદેવજી પૂછે છે કે "ભાઈ રે ભાઈ, પેટ કટાર શીદને નાખછ ?"
"અરે મહારાજ ! ઓલ્યો મુસલમાન રોજ માછલાં ચડાવે એને ઘેર ઘેરો જણ્યાં; ને હું ફૂલ ચડાવું તો ય મારે ઘેર ઘોડિયું બાંધવા યે છોરુ ન મળે!"
"એને ઘર જઈને જોઈ આવો તો ખરા!"