માસ્તરના મનોભાવ શિવો જાણતો હતો. અને હવે માસ્તરને માથેથી ઘરના બોજો ઉતરી જાય એમાં તેને કશો જ વાંધો ન હતો. કદાચ એની જુવાની પણ કોઈ નારીનો સહવાસ ઝંખતી હતી એટલે તેણે માસ્તર સામે નીચી નજરે જોતાં કહ્યુ ‘તમને ઠીક લાગે તેમ કરોને!’
‘હાશ !’ શિવાની અનુમતિ મળતા પથારીમાં લંબાવતા જાણે તેઓ જીવનભરનો થાક ઉતારી રહ્યા હતા ને પછી ભગવાનનું સ્મરણ કરતા બોલ્યા ‘હે ભગવાન બાપલા !...’
શબ્દોમાં જીવનભરનો થાક વ્યક્ત થતો હતો: તેઓ ઉઘાડી આંખે દીકરાનાં લગ્ન વિષેની મનોમન ગોઠવણ કરતા હતા. ગંગાશંકર શાસ્ત્રી બે દિવસ પછી જાતે જ આવવાના હતા એટલે તેમને હવે તેઓ જવાબ આપી શકે તેમ છે એ વાતનો જાણે મોટો સંતોષ તેમને હતો.
ગંગાશંકરે તેમની સમક્ષ પ્રાર્થના કરી ત્યારે તેઓ કેવા દીન ભાવે પોતાની સમક્ષ બેઠા હતા. તે કહેતા હતા ‘માસ્તર ! ગમે તેમ કરીને પણ મને હવે બંધનમાંથી છોડાવો?’
પહેલાં તો માસ્તર ગંગાશંકર શાસ્ત્રીનો એ બંધનની વાત સમજ્યા જ નહિ. એમને ઉચાટ થયો કે કોઈ વખત નહિ ને ગંગાશંકર આ વખતે નાણા માંગવા કેમ આવ્યો હશે ?
‘શાનુ બંધન છે ગંગાશંકર તમને ?’ વિસ્મયતાથી માસ્તરે પ્રશ્ન કર્યો.
માસ્તર પોતાની હાલત જાણે છે, છતાં અજાણપણાનો ડોળ કરે છે એમ માનતા ગંગાશંકરે શરમિંદા બનતા કહ્યું ‘માસ્તર જાણવા છતાં પૂછો છો?’