શિવ પિતા પાસે પોતાના દિલની વાત કઈ રીતે મૂકી શકે ? પોતાની પાસે રૂખી વિષે જે વાતો આવી હતી એ વાતો કોઈ પણ રીતે તે પિતાને કહી શકતો ન હતો પણ એ વાતોએ એના દિલમાં વૈરનો આતશ પેટાવ્યો હતો. પોતે બ્રાહ્મણનો દીકરો ન હોત તો કદાચ એણે વૈર તૃપ્તિનો માર્ગ ક્યારનોય શોધી લીધો હોત પણ પોતાનામાં એટલી હિંમત ન હતી અથવા તો તેને પિતાનો ભય લાગતો હતો.
છતાં તેણે કહ્યું, ‘તમારે મારી વાત ન માનવી હોય તો ન માનશો, જ્યારે તમે લોક મુખેથી સાંભળો ત્યારે માનજો!’
ને તે પિતાની નજરમાંથી દૂર થયો.
પોતે હવે લાજ શરમ છોડીને રૂખીને પૂછવા લાગ્યો ‘અરે વહુ દીકરા ! આ શિવ શા ગાંડા કાઢે છે? શું બળ્યું છે એની વાતોમાં ?’ ને રૂખીનો જવાબ સાંભળવા કાન સરવા કર્યાં. માસ્તરના શબ્દો રૂખીના હૈયામાં શાંત થઈને પડી રહેલા નાગને ઢંઢોળતા હોય એમ સ્પર્શી ગયા, એની ક્રોધજ્વાલા ભભૂકી ઊઠી ને છણકો કરતાં બોલી ઊઠી, ‘દીકરાના ઠેકાણાં ન હતા તો પરણાવાનો લ્હાવો લેવાનો અભરખો તમને ક્યાંથી થયો?’
કાળજામાં ઘા વાગે એવા એ શબ્દો હતા. દેવપુરુષ માસ્તરને જીવનમાં પહેલી જ વાર આવા તીખા શબ્દો સાંભળવા મળ્યા હતા. જિંદગીમાં ક્યારેય તેમને કોઈએ એક કડવો શબ્દ પણ કહ્યો ન હતો; એટલે રૂખીના શબ્દોથી તેમના કાળજામાં આગ લાગી ગઈ. ધુંવાંફુંવા થઈ ગયા. પોતે ક્યાં ગંગાશંકર પાસે રૂખીનું માંગુ કરવા ગયા હતા? ગંગાશંકર જાતે થઈને અહીં આવ્યા હતા ને? ને પોતે તો ગંગાશંકરથી કશું જ છાનું રાખવા માંગતા ન હતા. પણ ગંગાશંકર જ જો કાને ધરવા તૈયાર ન હોય તો પોતાનો શો વાંક? પણ