ફોજદાર નવા હતા અને જમાદારના કથન પર તેમને પૂરતો ઈતબાર હતો. શિવને એક જ દૃષ્ટિએ માપી લીધો ને પૂછ્યું ‘તું જ જુગારનો અખાડો ચલાવે છે ને?’
શિવ સમજી ગયો હતો કે પોતે આબાદ સપડાયો છે; એટલે તેણે ફોજદારને શાંત મગજથી જવાબો દેવા માંડ્યા;
તેણે કહ્યું, ‘કોઈક વાર હું રમું છું એટલું જ !’
‘કોઈકવાર ! બદતમીજ ?’ શિવનો જવાબ સાંભળીને બાજુમાં ઉભેલા જમાદારે ત્રાડ નાંખીને કહ્યું ‘મેં તને કેટલીવાર ચેતવ્યો, હતો, માસ્તરની શરમ પણ ક્યાં સુધી રાખવી ?’
ફોજદાર શિવને સળિયા પાછળ ધકેલી દે તે પહેલાં ગામમાં થયેલા કોલાહલથી નિદ્રાભંગ થયેલા મુખી દોડતા આવ્યા. શિવને જોતાં જ તેઓ પરિસ્થિતિ પામી ગયા.
ને તેમણે ફોજદારને સમજાવી લીધા, તત્કાળ શિવ કાયદાની ચૂંગાલમાં સપડાતાં બચી ગયો : મુખીના મનમાં એવો વિશ્વાસ હતો. કે માસ્તર તેને હવે આગળ વધતો અટકાવશે એટલે તેમણે માસ્તરના કાને વાત તો નાંખી પણ શિવ એટલી હદે આગળ વધી ગયો હતો. કે તેને હવે પાછો વાળવાની વાત તો ક્યાં રહી પણ અટકાવી શકવાની વાત માસ્તરને માટે સહેલી ન હતી. માસ્તરે પ્રયત્ન કર્યો હતો ત્યારે શિવે તેનો જવાબ કેવું છાસીયું કરીને વાળ્યો હતો ? રસ્તે ચાલતાં માસ્તરના મનનો મનોવ્યાપાર એવો હતો કે શિવ પાસે તે જઈને શું કરશે ? ફોજદારને તે કઈ રીતે વિનવી શકશે ? શિવનો છૂટકારો થાય તો પણ શિવ પાછો ફરવાનો હતો શું?
ત્યારે માસ્તરની પાછળ પગલાં દબાવીને ચાલતી રૂખીના મનમાં પણ વિચિત્ર પ્રકારનું ર્ઘષણ ચાલતું હતું.
અને આમ બંને અંધારા ચીરીને પોલીસ ચોકીમાં આવ્યા.