લખાણ પર જાઓ

પૃષ્ઠ:Khakh na Poyana Prahlad Brahmabhatt.pdf/૧૬૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ઊંબરો ઓળંગ્યો
૧૫૩
 


પણ આજે રૂખીએ જીવતાં એના પતિ ગૃહનો ઉંબરો ઓળંગ્યો હતો, માસ્તર વિસ્ફારિત નજરે પોતાની પુત્રવધૂને, પોતાના કુળની પ્રતિષ્ઠાનો ઊંબરો ઓળંગીને બહાર જતી જોઈ રહ્યા હતા. એમનું અંતર સળગતું હતું. એમનું મન ભડકે બળતું હતું. છતાં તેઓ લાચાર હાલતમાં બેસી રહ્યા હતા. શિવ આજે હાજર હોત તો તેઓ દીકરાને કહેત, ‘ઊઠ, બાવડું ઝાલીને રૂખીને પાછી લઈ આવ !’ પણ અફસોસ એ વાતનો હતો કે આજે તેઓ અસહાય બની રહ્યા હતા. સંસાર તો ભર્યો ભર્યો હતો. પણ પોતે સહાય વિનાના એકલા પડી રહ્યા હતા.

ક્યાંય સુધી બારણા પ્રતિ જ નજર નાંખીને ખાટલામાં હતાશાપૂર્ણ હાલતમાં માસ્તર બેસી જ રહ્યા. રૂખીએ સાચે જ ગજબ કર્યો હતો. કોઈ પરણેતર આવું કરી જ ન શકે એવું રૂખીએ કર્યું હતું. તેઓ એટલી હદ સુધી ચિતશૂન્ય બની ગયા હતા કે પ્રસાદ ઊઠીને દાદાની સામે જોઈ રહ્યો હતો તેનું પણ તેમને ભાન ન હતું. પ્રસાદ દાદાને ભાનમાં લાવવા જાણે મથતા હોય એમ ઘડીકમાં માસ્તનો ખભો પકડીને ઊભો થતો હતો, તો ઘડીકમાં એમના અંક પર ચઢવા મથતો હતો.

બારણામાં ઉભેલી જીવકોરનું, માસ્તરની આ અસ્વસ્થતા જોઈને હૈયું વલોવાઈ ગયું; ગઈ કાલે શિવને પોલીસ પકડી ગઈ એથી માસ્તરના દિલને જે આઘાત લાગ્યો હતો તે ઘાને દિલાસાના મલમપટાથી રૂઝવવા તે આવી હતી, એની પાછળ જ દબાતે પગલે મંગળા પણ ઊભી હતી! જીવકોર બારણામાંથી ધસમસતી માસ્તર પાસે આવીને બોલી, ‘અરે માસ્તર તમે હતાશ શું થઈ ગયા છો ? જરા આ બાળક સામે તો જુઓ!’

તો મંગળાએ પ્રસાદને ઉઠાવી લીધો તે તેને પોતાના ખોળામાં લઈ રમાડવા માંડ્યો. પછી અંદરના ઓરડા તરફ જતાં તે બોલી