તુલસીની માના વેણ પણ જીવકોરને દઝાડી રહ્યા હતા. એ ફળિયા વચ્ચે ઊભા રહીને તુલસીની માએ જીવકોરને ઉદ્દેશીને જ્યારે ફટાણા જેવા શબ્દો બોલવા માંડ્યા ત્યારે લોકો પણ તમાસો જોવા માટે પોતાના ઓટલે આવી પહોંચ્યા હતા.
તુલસીની મા જરાક શાંત થાય કે તરત જ તમાસો જોવા એકઠા થયેલામાંથી કોક બોલતુ, ઠંડા પડેલા અગ્નિમાં ઈંધણાં નાંખવા જેવું જસ્તો–‘અરે તુલસીની મા ! તને પેટમાં કેમ દાઝે છે, જીવકોરે જે કાંઈ કર્યું છે તે જોઈ વિચારીને કર્યું હશે ને?’
ને અગ્નિ ભડકાનું સ્વરૂપ પકડતો.
તુલસીની મા ઝવેર વધુ જોરથી કહેતી ‘અરે આ જમાનો તો જુઓ ! અમારા જેવું ઊંચુ કુળ જીવકોરની છોકરીના નસીબમાં ક્યાંથી હોય? છતાં મને થયું કે પાડોશમાં છે અને વળી એકબીજાથી પરિચિત, તો ઠીક પડશે એટલે મેં એક દિવસ વાત છેડી, તુલસી માટે જ સ્તો! ત્યારે જીવકોરના નાક ફૂલી ગયા. તુલસી એમને ગમતો ન હતો ! પણ મારા તુલસીએ જ દયા ખાઈને તેમના લુંડાપા કર્યા હતા એ વખતે તુલસી સારો હતો...’
જીવકોરે બારણાં બંધ કર્યાં. તુલસીની માના શબ્દોએ એના માટે એવી દુર્ગંધ ફેલાવી દીધી હતી કે એનાથી સહન થઈ શકે તેમ ન હતું. એટલે તેણે બારણા બંધ કર્યા, અને સાથે જ તેની હિંમત તૂટી પડી; બારણા બંધ કરીને આંસુની ધાર વહેવડાવવા લાગી, મનોમન કહેવા લાગી, અરે ભગવાન આ દુનિયાનો ન્યાય તો જો, એક તો મારી દીકરીનો તુલસીએ ભવ બાળ્યો ને ઉપરથી એની મા મને સળગાવી રહી છે. જો તુલસીએ મંગળાનો ભવ ન બાળ્યો હોત તો મંગળાને માટે કોઈ બ્રાહ્મણ જુવાન ન મળી રહેત! પણ એના પાપને છુપાવીને હું કોને છેતરવા જાઉં? આજે તો નહિ પણ મંગળા