‘હા તુલસી !’ માસ્તરે મક્કમતાથી કહ્યું ને ઉમેર્યું, ‘મારો દીકરો તો હવે નકામો બની ગયો છે એટલે તારી પાસે આશા રાખીને આવ્યો છું અને પછી પોતાનું દુઃખ વ્યક્ત કરતા હોય એમ ગંભીર બની ગયા. કહ્યું : ‘મને શાંતિથી મરવા દેવો હોય તો તારે મને વચન આપવું પડશે.’
તુલસી માસ્તરના વચનો સાંભળતો અને મૂંઝાતો હતો અને માસ્તર પોતાના મૃત્યુની વાત કરે છે તો એને અને પોતાના કરતૂતોને કોઈ સંબંધ નથી એવી પ્રતિતી તેને મનોમન થઈ ગઈ છતાં મૂંઝવણ ઘણી મોટી હતી. માસ્તર પોતાની પાસે શાનું વચન માંગવા આવ્યા છે? પોતાને અને માસ્તરને એવો કોઈ ઘરોપો નથી કે જેથી માસ્તર મૃત્યુ ટાણે પોતાની પાસે કાંઈક માંગવા આવી શકે.
માસ્તર તુલસીની મનોમૂંઝવણ સમજતા હતા તો પોતે પણ હવે વાતના દોરને આગળ કેમ વધારવો તેની જ મથામણમાં હતા. તુલસી શંકાભરી દૃષ્ટિએ પોતાને જોઈ રહ્યો હતો.
‘કહો તો ખરા તમે શાનું વચન માંગો છો ?’ માથું ખંજવાળતાં તુલસીએ માસ્તરને પ્રશ્ન કર્યો.
‘વચન આપે તો જ નક્કી વાત કરી શકું ને?’ માસ્તર પોતાના અંતરની વાત સ્પષ્ટપણે વ્યક્ત કરતા અચકાતા હતા. તુલસીના જે સ્વરૂપના તેમને દર્શન થયા હતા તે સ્વરૂપને જોતા તેઓ મંગળા વિષે કાંઈ પણ કહેતા અચકાય તે સ્વાભાવિક હતું પણ સાથે જ માનવતા પ્રત્યેનો તેમના આત્મવિશ્વાસ જબરો હતો એથી તો તેઓ હિંમત કરીને અહીં સુધી આવ્યા હતા. હવે તુલસીના કાને પોતાના દિલની વાત નાંખ્યા વિના પાછા ફરવા પણ માંગતા ન હતા.
એટલે તેમણે તુલસી બીજા વધુ પ્રશ્નો કરે તે પહેલાં જ અંતરના દ્વાર ખોલવા માંડ્યા. ખાટલામાં સહેજ ટટાર થયા, મોં પરનો