લખાણ પર જાઓ

પૃષ્ઠ:Khakh na Poyana Prahlad Brahmabhatt.pdf/૨૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૦૪
ખાખનાં પોયણાં
 

‘તુલસી શું થયું છે તને ?’ ખાટલા પાસે જઈને સ્થિરતાપૂર્વક નભોમંડળ સામે જોઈ રહેલા તુલસીને તેની માતાએ પ્રશ્ન કર્યો.

પણ તુલસી હજી વિચારના ઊંડાણમાંથી બહાર આવ્યો ન હતો, નભોમંડળમાં તેને માસ્તર અને મંગળા જ દેખાતા હતા અને એ જોઈને તુલસીની કાયા અજાણતા કંપ પણ અનુભવતી.

‘તુલસી ! આમ કેમ થઈ ગયો છું, મારા દીકરા ?’ તુલસીનું આવું સ્વરૂપ જોઈને તેની માતાનું કાળજું હાથ ન રહ્યું. ખાટલાની ઈસ પર બેસી તેના માથા પર હાથ ફેરવતાં પૂછવા લાગી. ‘કાંઈ થયું છે?’

હવે તુલસી ભાનમાં આવ્યો, પાસે બેઠેલી માતા સામે જોયું અને તેના પ્રશ્નના પ્રત્યુત્તરમાં ડોક હલાવીને કહ્યું ‘ના !’

‘તો આમ નંખાઈ કેમ ગયો છે ?’ માતાનું સ્નેહાળ દિલ દીકરાની આવી હાલત જોઈને દ્રવી ઊઠ્યું હતું. મનમાં અમંગળ શંકા પણ જાગી ‘કાંઈક ઝપટમાં તો આવ્યો નથીને ?’

એ શંકા જાગતા જ એના મનના કાંઈક ખૂણામાં પડેલી પેલી વાત પણ યાદ આવી. એક વખત તેના પતિ જીવતા હતા ત્યારે એ વાત થએલી, ખેતરના ઉગમણે છેડે આવેલી આંબલી પર ભૂતનો વાસ છે પણ એ વાત તેના મનમાંથી ત્યાર પછી ભૂંસાઈ ગઈ હતી, પતિના મૃત્યુ પછી તુલસીએ ખેતરની સાર સંભાળ લેવા માંડી ત્યારથી ખેતરે રાત અધરાત પણ તુલસી જતો હતો. રાતવાસો પણ રહેતો હતો, અને ચોમાસાની મેઘલી રાતે પણ જરૂર પડતાં તે હિંમતપૂર્વક જતો. ભય જેવી ચીજને તે સમજતો ન હતો. અને પોતે પણ પેલી ભૂતની વાત તેને કહેતી ન હતી.

પણ આજે તુલસીને અચાનક આ શું થઈ ગયું ? બિચારી માતાને તુલસીના મનોપ્રદેશમાં ચાલતા વિચારયુદ્ધનો ખ્યાલ ન હતો