લખાણ પર જાઓ

પૃષ્ઠ:Khakh na Poyana Prahlad Brahmabhatt.pdf/૨૪૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૩૬
ખાખનાં પોયણાં
 

સમજી શકતો ન હતો, એટલે તેણે ઝવેરની વાતને અધવચ્ચે અટકાવીને કહેવા માંડ્યું.

‘મા ! માસ્તર પણ કોઈ ઓછા નથી તો ? બિચારા શિવાનો કાંટો કાઢવા તેમણે મંગળા સાથે ઘર માંડ્યું ને મંગળા હવે મા બનવાની છે.’

‘હવે એનો કાંટો નીકળી જ ગયો છે તો ! જેલમાં તો જઈ આવ્યો એથી મોટું કલંક માસ્તરને માટે બીજું કયું હોય ?’ ઝવેર માસ્તરનો જ પક્ષ કરતી હતી. તુલસી માસ્તરની વિરુદ્ધમાં ગમે તેવી દલીલો કરે તો પણ ઝવેર એને દાદ દેવા માંગતી ન હતી. તુલસીની સો દલીલોનો ઝવેર એક જ શબ્દમાં જવાબ દેતી હતી.

‘મૂઆ આવા દીકરા ! એના કરતાં પથરા થયા હોત તો કામમાં આવત !’ માતાના પલટાયેલા વલણથી તુલસીને આશ્ચર્ય થયું. તત્કાળ તો એ વાત ત્યાંથી અટકી. પણ તુલસીના એકલા પડેલા મનમાં ઘર્ષણ જાગ્યા વિના રહી શકતું નહિ, કોડિયામાં દીવા પ્રકટ્યો હતો. આભમાંથી અંધરાં વરસી રહ્યાં હતાં. ઝવેર ચૂલા પાસે બેસીને તુલસી માટે રોટલા ઘડતી હતી, ત્યારે તુલસી બહાર બેઠો બેઠો ભૂતકાળના ઊંડાણમાં ઊતરી રહ્યો હતો.

એનો આત્મા એના દેહમાં પડેલા શયતાનને પુછતો હતો. ‘માસ્તરની આ બરબાદી માટે તું જ જવાબદાર છે ને? તારા પાપનો બોજ માસ્તર ઉઠાવી રહ્યા છે ને? અને છતાં તને માસ્તર પ્રત્યે હમદર્દી પેદા થતી નથી શું?’

‘બોલ, જવાબ દે ! તેં મંગળાને ભ્રષ્ટ કરી હતી કે નહિ? મંગળાને તું મેળવવા માંગતો હતો કે નહિ ?’ તુલસીનો આત્મા જોરથી તેને ઢંઢોળતો હોય એમ પૂછતો હતો. ‘તો જવાબ આપ, શા માટે તે મંગળાને તારી પાંખમાં ન લીધી? શા માટે હજી પણ તું મંગળાનો બોજ જાહેરમાં ઊઠાવવા તૈયાર થતો નથી?’