લખાણ પર જાઓ

પૃષ્ઠ:Khakh na Poyana Prahlad Brahmabhatt.pdf/૨૫૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૪૪
ખાખનાં પોયણાં
 

મંગળાનો અવાજ સાંભળીને ઝવેરે તરત જ બારણું ઉઘાડ્યું. અંધારામાં પણ મંગળાની દીન મૂર્તિ તેઓ જોઈ શકતાં હતાં અને એમના દિલમાં મમતાના ઝરણાં વહેતા થયા હતા.

‘કેમ આટલી રાતે મંગળા ?’ ઝવેરે પૂછ્યું, ત્યારે તુલસી ખાટલામાં બેઠો બેઠો મંગળાનો જવાબ જાણવા અધિર બન્યો હતો આટલી રાત્રે મંગળાનું આગમન અમંગળ શંકાનુ કારણ તો બન્યું જ હતું છતાં મંગળા પાસેથી જાણવાને તેનું મન ઈંતેજાર હતું.

મંગળાએ કહ્યું ‘કાકી માસ્તરનો જીવ પ્રસાદમાં ભરાઈ રહ્યો છે અને પ્રસાદ તો શિવની પાસે છે. હું લેવા ગઈ તો પણ મને લેવા દીધો નહિ.’

ને ગદગદ કંઠે મંગળા બોલી ‘બિચારો પડી ગયો હતો, એના શા હાલ થયા હશે ?’

‘તો હું લઈ આવુ પ્રસાદને ?’ મંગળાની વાત સાંભળીને તુલસી ખાટલામાંથી હડફ કરતાંને ઊભો થયો ને કાળમીંઢ અંધારા પથરાયેલા હોવા છતાં નિર્ભયતાથી શિવને ત્યાં જવા તેણે પગ ઉપાડ્યો.

‘પણ શિવ...’ બોલતાં બોલતાં મંગળા અટકી પડી, શિવના શબ્દો તેની સ્મૃતિમાં હતા.

‘શિવની તાકાત શી છે કે મને ના કહે?’ મંગળાના અધૂરા રહેલાં પ્રશ્નનો તુલસીએ જવાબ દીધો.

‘જો જે. અડધી રાતે કાંઈક તોફાન કરતો ?’ ઝવેરે તેને શિખામણ દીધી.

તુલસી હોહો કરતો ઉપડ્યો; ફળિયું છોડીને તે બહાર પડ્યો ત્યારે મંગળા ઝવેરને લઈને માસ્તર પાસે આવી પહોંચી.

‘પ્રસાદને લેવા તુલસી ગયો છે માસ્તર !’ ઝવેરે આંખો ફાડી રહેલા માસ્તરની પાસે જઈને કહ્યું ને ઉમેર્યું - ‘હમણાં આવતો હશે.’