‘મંગળા તારે આવી વાતો મનમાં લાવવાની જરૂર નથી. એ તો હું બધાને પહાંચી વળું તેમ છું.' ઝવેરે હરખાકાકી સાથેની થયેલી પેલી બાઈની જીભાજોડી વિષે ઉલ્લેખ કરતાં કહ્યું ‘નવરીઓ ગમે તેમ બોલે, આપણે શું?'
મંગળાની આંખો પ્રસાદ સામે મંડાયેલી હતી.
એના મનને એ પૂછતી હતી. ‘પોતાના પેટનો દીકરો પોતાને સાંપડ્યો છે માટે પ્રસાદ પારકો થઈ ગયો ? પહેલાં તો પ્રસાદ હતો ને ? પ્રસાદ પોતાના ખોળામાં રમતો. ક્યારેક પોતાના ઉર પ્રદેશ પર હાથ પછાડીને પોતાના સ્તનને ચૂસવા મથતો ત્યારે એનું મન કેવું હર્ષોન્મત બનીને નાચી ઉઠતું હતું ? નારી હૈયામાં માતૃત્વની રેખાઓ અજાણતા પણ પ્રસાદે જ ઉપસાવી હતી ને ? એ પ્રસાદ હવે પોતાનો દીકરો પ્રાપ્ત થતાં પારકો થઈ ગયો ?'
એનું મન આ વિચારો સામે બળવો પોકારતું હતું. આંગળીથી નખ વેગળા કહેનાર બાઈનું મોં તોડી લેવાને તેને પ્રેરતુ હતું. પણ તે અશક્ત હતી, પથારીમાં પડી હતી, પોતાના નવજાત શિશુનું માંગલ્ય વાંછવા તે આવી હતી, એટલે તેનું મોં તોડી લેવાની વૃત્તિને તેણે દબાવી દીધી હતી. છતાં એની વાતનો પ્રતિકાર કર્યા વિના તે રહી શકી ન હતી.
‘ના, પ્રસાદ જ પહેલો. મારા પેટના કરતાં પણ પ્રસાદ જ મારે માટે અધિક બની રહે છે, કારણ કે પ્રસાદ ભલે રૂખીનો દીકરો હોય પણ દેવ પુરૂષ માસ્તરે તે મને સોંપ્યો છે. માસ્તરનું એ સંભારણું છે એમ નહિ, પણ માસ્તરના ઋણનો ભાર પ્રસાદનું જતન કરીને જ તે હળવો કરી શકે તેમ છે.
એની બન્ને આંખોમાં સ્નેહ છલકાયો : ૨મતમાં મશગુલ બનેલા પ્રસાદ સામે તે સ્નેહ છલકાતી આંખોએ જોઈ રહી હતી. જાણે તે