લખાણ પર જાઓ

પૃષ્ઠ:Khakh na Poyana Prahlad Brahmabhatt.pdf/૮૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
કાળોતરાને નોતરું
૭૧
 

નિશ્ચય સાથે જ બહાર આવી હોય એમ કહેવા લાગી ને ઉમેર્યું, ‘જ્યારે ને ત્યારે તુલસી તારા ઘરમાં જ ભરાયલો હોય છે?’

‘તે અમે ક્યાં એને નોંતરા દેવા જઈએ છીએ ?’ જીવકોરે જવાબ દીધો ને કહ્યું, ‘ગમે તેમ બોલતાં પહેલાં તારે વિચારવું જોઈએ કે તું કોને માટે કેવા શબ્દ બોલે છે ?’

આ ઝઘડા પછી તુલસી જીવકોરને ત્યાં જતો અને કહેતો, ‘કાકી ! માના શબ્દો પર ખોટું ન લગાડતા ! એને તો મોંએ ચોકઠું જ નથી.’

પણ ત્યાર પછી જીવકોર તુલસીને કોઈ કામ ચિંધતી નહિ, છતાં તુલસી આવતો ને પૂછતો, ‘કાકી કામકાજ ?’

જીવકોર મનનો મેલ બહાર વ્યક્ત ન થાય તેની પૂરતી સંભાળ રાખીને જવાબ દેતી, ‘ના, ભાઈ કાંઈ જ કામ નથી. અને હશે તો હવે મંગળા ક્યાં નાની છે?’

મંગળાને હવે સમજાયું કે તુલસી શા માટે પોતાને ત્યાં અવારનવાર આવી રહ્યો છે.

તુલસીની મા જીવકોર પાસે બેઠી કે તરત જ મંગળા ત્યાંથી ઇરાદાપૂર્વક ખસી ગઈ ને રસોડામાં જઈને બેઠી, હાથમાં જાણે વાસણ પકડ્યાં પણ તેના કાન તો તુલસીની માની વાતો જાણવા ઉત્સુક બની રહ્યા હતા.

ને તેણે જાણ્યું કે વાતનો પ્રારંભ પણ તુલસીની માએ જ કર્યો હતો. તેણે કહ્યું હતું, ‘જીવકોર આ મંગળા વિષે તેં કાંઈ વિચાર્યું છે કે ? ઉકરડીની જેમ શી વધી ગઈ છે?’

જીવકારે નિશ્વાસ નાખતાં જવાબ દીધો, ‘ના બેન ! ઘેર કયો ભાયડો છે કે મંગળા માટે શોધવા નીકળે? પણ આ માસ્તરને કહી રાખ્યું છે તે નજર રાખશે.’